લંડનઃ 1 એપ્રિલથી 80 વર્ષ કરતાં વધુ વય ધરાવતા લોકો માટે એનએચએસના વેક્સિનેશન પ્રોગ્રામમાં મોટો બદલાવ કરવામાં આવી રહ્યો છે. 1 એપ્રિલથી આરએસવી માટેના એનએચએસ વેક્સિનેશન પ્રોગ્રામમાં 80 વર્ષથી વધુ વયના સ્ટેટ પેન્શનર્સને પણ સામેલ કરાશે. એનએચએસે જાહેરાત કરી છે કે 80 વર્ષથી વધુ વયના લોકો અને કેર હોમ્સમાં રહેતા તમામ વૃદ્ધોને 1 એપ્રિલથી વેક્સિન અપાશે.
હેલ્થ મિનિસ્ટર સ્ટિફન કિનોકે જણાવ્યું હતું કે, અમે આ લાઇફ સેવિંગ વેક્સિનેશન પ્રોગ્રામનો વિસ્તાર કરીને જેમના પર સૌથી વધુ જોખમ છે તેવા લોકોને સુરક્ષિત કરવાની દિશામાં વધુ એક મહત્વનું પગલું લઇ રહ્યાં છીએ. વેક્સિનેશન કમિટી દ્વારા કરાયેલી ભલામણનો અમે સ્વીકાર કર્યો છે. કમિટીએ આ પ્રોગ્રામનું વિસ્તરણ કરવાથી થનારા લાભથી સરકારને અવગત કરાવી છે.
કિનોકે જણાવ્યું હતું કે, હું આરએસવી વેક્સિન માટે યોગ્યતા ધરાવતા તમામને એપ્રિલથી વેક્સિન લેવા પ્રોત્સાહન આપું છું. તેઓ તેમના જીપી પાસે પહોંચીને જેમ બને તેમ ઝડપથી વેક્સિન લે. વેક્સિન લેવાથી તમે તમારી જાતને સુરક્ષિત કરી શકો છો અને શિયાળામાં એનએચએસ પર સર્જાતા દબાણને અટકાવી શકો છો.


