લંડનઃ પાંચ મિલિયન બ્રિટિશરો એસ્ટ્રેઝેનેકા (AZ) વેક્સિન લેવાના કારણે તેમની યુરો હોલીડેઝ માણવાથી બાકાત રહી જશે. ઈયુની વેક્સિન પાસપોર્ટ યોજના હેઠળ ભારતમાં ઉત્પાદન કરાયેલી એસ્ટ્રેઝેનેકા વેક્સિનને માન્યતા આપવામાં આવી નથી. યુરોપિયન મેડિસીન્સ એજન્સીએ ભારતમાં સિરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII) દ્વારા ઉત્પાદિત કોવિશીલ્ડ વેક્સિનને હજુ સુધી માન્યતા આપી નથી. જોકે, વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ તેને માન્યતા આપેલી છે.
ઈયુએ પ્રવાસીએ વેક્સિનેશન કરાવ્યું છે તેવા પુરાવા ધરાવતું ડિજિટલ કોવિડ સર્ટિફિકેટ જારી કર્યું છે જેના હેઠળ યુરોપિયનો ક્વોરેન્ટાઈન અથવા દેશમાં આગમન સમયે કડક પરીક્ષણો વિના સમગ્ર ખંડમાં અવરજવર કરી શકશે. ભારતમાં ઉત્પાદિત AZ વેક્સિન્સ તેના 4120Z001 અથવા 4120Z002 જેવા બેચ નંબરથી અલગ પડે છે. કોવિશીલ્ડને અમાન્ય રાખવાના ઈયુ એજન્સીના નિર્ણયથી આ રસી લેનારા બ્રિટિશરોમાં રોષ ફેલાયો છે. એંગ્લો-સ્વીડિશ ફાર્માસ્યુટિકલ જાયન્ટ એસ્ટ્રેઝેનેકા દ્વારા ઈયુને વેક્સિનનો પૂરતો જથ્થો નહિ અપાયા મુદ્દે વિવાદો સર્જાયેલા છે અને ઈયુ કમિશને ફર્મ સામે કાનૂની કાર્યવાહી પણ આરંભી છે.
પોર્ટુગલ અને માલ્ટા સહિત યરોપના લોકપ્રિય પર્યટક સ્થળોમાં પ્રવેશ માટે વેક્સિનેશન પુરાવા મંગાય છે. ગ્રીસ અને સ્પેન ૭૨ કલાક સુધીના કોવિડ નેગેટિવ રિપોર્ટનો આગ્રહ રાખે છે. જર્મનીએ તો યુકેથી આવતા તમામ પ્રવાસીઓ પર પ્રતિબંધ લગાવેલો છે. જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ અને બોરિસ જ્હોન્સન વચ્ચે મંત્રણામાં તેના ઉકેલની શક્યતા છે.
દરમિયાન, યુરોપિયન યુનિયનના સાત દેશો- ઓસ્ટ્રિયા, જર્મની, સ્લોવેનિયા, ગ્રીસ, આઈલેન્ડ, આયર્લેન્ડ, સ્પેન તેમજ સ્વિટ્ઝર્લેન્ડે ગુરુવાર, ૧લી જુલાઈએ ભારતની કોવિશીલ્ડ રસીને મંજૂરી આપી છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ યુરોપિયન યુનિયને આ વેક્સિન લેનારને એન્ટ્રી નહિ મળે એમ કહ્યું હતું. આની સામે ભારતે સખત વિરોધ નોંધાવ્યો હતો.