ઓગસ્ટ ૧૯૯૫માં પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના હસ્તે લંડનમાં BAPS સ્વામીનારાયણ મંદિર ખૂલ્લું મૂકાયું હતું. આ મંદિરે શ્રદ્ધાળુઓ, મુલાકાતીઓ અને સ્થાનિક નિવાસીઓને અધ્યાત્મિકતા, સમુદાય, શાંતિ અને પ્રેરણાની લાગણી પૂરી પાડી છે.
૨૦૧૫માં સ્વામીનારાયણ મંદિરની ૨૦મી વર્ષગાંઠની એક વર્ષ લાંબી સત્તાવાર ઊજવણીનો નિર્ણય લેવા ભારતથી આવેલા વરિષ્ઠ સાધુ ત્યાગવલ્લભ સ્વામીની નિશ્રામાં ૨૨ નવેમ્બરે ખાસ બેઠક યોજાઈ હતી. જેમાં મંદિરની સ્થાપનાથી અત્યાર સુધીની કામગીરીનો ચિતાર અપાયો હતો. બેઠકમાં ચેરિટી સંસ્થા ડાયાબિટીસ યુકેના ચેરમેન રિચાર્ડ લેનને ૨૦,૦૦૦ પાઉન્ડનો ચેક અર્પણ કરાયો હતો. આ નાણા BAPS ચેરિટિસ એન્યુઅલ ૧૦કે ચેલેન્જ દરમિયાન એકત્ર કરાયા હતા. રિચાર્ડ લેને અશ્વેત, એશિયન અને માઈનોરિટી એથનિક કોમ્યુનિટિસમાં ડાયાબિટીસ અંગે જાગૃતિ કેળવવાનો સંદેશ આપ્યો હતો. તેમણે લંડન, લેસ્ટર અને બર્મિંગહામમાં BAPS ચેરિટિસ દ્વારા સ્ક્રીનિંગ ક્લિનિક્સમાં આહારશાસ્ત્રીની મદદ આપવા પણ જણાવ્યું હતું.
ત્યાગવલ્લભ સ્વામી અને મંદિરના મુખ્ય સાધુ સત્યવ્રત સ્વામીએ આગામી મહિનાઓમાં થનારી ઊજવણીમાં તમામ લોકો સક્રિય યોગદાન આપે તે માટે તેમને પ્રોત્સાહિત કરવાની શીખ આપી હતી.