લંડનઃ એક્ઝામ નિયામક Ofqual દ્વારા કન્સલ્ટેશન પ્રસ્તાવમાં સ્પષ્ટ કરાયું છે કે GCSE અને A-Level ના વિદ્યાર્થીઓ આ વર્ષે તેમના પરીક્ષા ગ્રેડ સામે અપીલ કરી શકશે નહિ. જોકે, શાળાઓ અને કોલેજો પ્રક્રિયા કે પદ્ધતિના ધોરણે અપીલો કરી શકશે. કોરોના વાઈરસ મહામારીના કારણે પરીક્ષાઓ રદ કરી હોવાથી શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓનું ગ્રેડિંગ કરાશે છે. Ofqual દ્વારા જણાવાયું છે કે જે વિદ્યાર્થીઓને લાગતું હોય કે તેમનું ગ્રેડિંગ વાજબી કરાયું નથી તેમણે ઓટમમાં પરીક્ષામાં બેસવાની છૂટ છે. આ પ્રસ્તાવ ૨૯ એપ્રિલ સુધી ખુલ્લો રહેશે.
આ વર્ષે કોરોના મહામારીના કારણે પરીક્ષાઓ રદ કરાઈ હોવાથી શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને ગ્રેડ અપાશે ત્યારે આ સમરમાં પરીક્ષા આપવાની હતી તેવા GCSE અને A-Level ના વિદ્યાર્થીઓ તેમના ગ્રેડ સામે અપીલ કરી શકશે નહિ તેમ એક્ઝામ નિયામક Ofqual દ્વારા સ્પષ્ટ કરાયું છે. શિક્ષકોની વ્યાવસાયિક નિર્ણયશક્તિ પર સામે સવાલ ઉઠાવવો અયોગ્ય, બિનઅસરકારી અને ગેરવાજબી ગણાશે તેમ જણાવાયું છે. જો તેમને એમ લાગતું હોય કે વાજબી ગ્રેડ મળ્યા નથી તો ઓટમમાં નવેસરથી પરીક્ષા આપવાનો વિકલ્પ રહેશે. શાળાઓને પણ માત્ર ટેક્નિકલ ભૂમિકાએ અપીલોની છૂટ રહેશે.
શિક્ષકો દ્વારા મૂલ્યાંકનની ચોકસાઈ વિશે એવી ચિંતા છે કે વર્તનની સમસ્યા ધરાવતા વિદ્યાર્થીઓ સાથે કદાચ અન્યાય થાય. ગત વર્ષે ૨૨ વિષયોમાં આગાહી કરાયેલા આશરે ૨૦,૦૦૦ ગ્રેડ્સમાં જણાયું હતું કે શિક્ષકો દ્વારા ૪૦ ટકા એસ્ટિમેટ્સ જ ચોકસાઈપૂર્ણ હતા. જે ૬૦ ટકા ખોટા હતા તેમાંથી ૩૧ ટકા અતિ ઉદાર હતા અને ૨૯ ટકા અતિ નકારાત્મક હતા.
અગાઉ Ofqual એ જણાવ્યું હતું કે કોરોના મહામારીના કારણે ૧.૩ મિલિયન વિદ્યાર્થીઓની GCSE અને A-Levelની પરીક્ષાઓ રદ કરાઈ છે તેમના ગ્રેડ્સ શાળામાં શિક્ષણ, અભ્યાસ અને પરીક્ષા આયોજન મુજબ થયાં હોય તે રીતે જ શિક્ષકો દ્વારા નક્કી કરાશે. જોકે, શિક્ષકોએ નિર્ણય શેના આધારે લેવાયો છે તેની સાબિતીઓ આપવી નહિ પડે. તેમણે ગ્રેડ્સ આપતી વખતે વિદ્યાર્થીઓ ગોખીને પણ છેલ્લી ઘડીએ સારો દેખાવ કરી શકે તે સહિતના મુશ્કેલ પરિબળો ધ્યાનમાં લેવાં પડશે.