લંડનઃ મેડિસીન રેગ્યુલેટર વેક્સિનને સમયસર મંજૂરી આપશે તોNHSઆવતા મહિને લોકોને કોવિડ-૧૯ની વેક્સિન આપી શકશે તેમ હેલ્થ મિનિસ્ટર મેટ હેન્કોકે જણાવ્યું હતું. ફાઈઝર/બાયો એન ટેક દ્વારા વિક્સાવાયેલી રસીને મેડિસીન્સ એન્ડ હેલ્થકેર પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી એજન્સી (MHRA) દ્વારા મંજૂરી મળે તો જ ક્રિસમસ પહેલા મોટા પાયે વેક્સિનેશન કાર્યક્રમ શરૂ થવાની શક્યતા હોવાનું તેમણે ઉમેર્યું હતું.
ડાઉનિંગ સ્ટ્રીટ પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું કે વેક્સિન જેટલી ઝડપથી ઉપલબ્ધ થાય તેના માટે તેટલી જ ઝડપથી તૈયાર રહેવા તેમણે NHSને સૂચના આપી છે. પણ કયો સમય તેના માટે તેઓ કશું જ કહી શકે તેમ નથી કારણ કે આ વાત હજુ પણ જો અને તો પર જ આધારિત છે. જો રેગ્યુલેટર વેક્સિનને મંજૂરી આપે તો જ આવતા મહિને વેક્સિનેશન પ્રોગ્રામ શરૂ થઈ શકે અને નવા વર્ષમાં ખૂબ મોટા પાયે વેક્સિનેશન કરી શકાય.
હોલિડે સીઝન શરૂ થાય તે પહેલા થોડાંક લોકોને આ ઈન્જેક્શન આપી શકાશે તેવી NHSના વડાઓમાં વધી ગયેલી અપેક્ષાના સમયમાં હેન્કોકનું આ નિવેદન આવ્યું હતું. હેલ્થ સર્વિસના સૂત્રોએ જણાવ્યું હતું કે તે પહેલા વેક્સિન આપવાની કામગીરી શરૂ કરી દેવા માટે ‘ભારે રાજકીય દબાણ’ છે. જોકે, વ્હાઈટહોલના એક અધિકારીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ તાકીદ સામાજિક, તબીબી અને આર્થિક છે માત્ર રાજકીય નથી.
આ વેક્સિન ક્યારે ઉપલબ્ધ થશે તેનો આધાર રેગ્યુલેટરી એજન્સી વેક્સિનના વિશ્લેષણમાં કેટલો સમય લે છે અને આ વેક્સિન આપવી સલામત છે કે કેમ તેનો નિર્ણય લેવા પર આધારિત છે.
ફાઈઝરે તાજેતરમાં જ જણાવ્યું હતું કે તેની વેક્સિન ૯૫ ટકા અસરકારક છે અને કોવિડ-૧૯નું સંક્રમણ થાય તો મૃત્યુ પામવાની શક્યતા વધુ હોય તેવા વૃદ્ધો પર પણ વેક્સિન અસર કરે છે. હેન્કોકે ઉમેર્યું કે ફાઈઝરની વેક્સિન અધિકૃત છે કે કેમ તે ચકાસવા સરકારે MHRAને જણાવ્યું હતું.
સંક્રમણના નવા દૈનિક સરેરાશ કેસોમાં ઘટાડો નોંધાયો હતો. ગયા અઠવાડિયે સંક્રમણના ૨૨,૨૮૭ કેસ નોંધાયા હતા જે અગાઉના અઠવાડિયે નોંધાયેલા ૨૪,૪૩૦ કેસથી ઓછાં હતા. હેન્કોકે ઉમેર્યું હતું કે આ આંકડા આશાજનક છે અને સેકન્ડ પીક ઓછું થઈ રહ્યું હોવાનું દર્શાવે છે. જોકે, સામાન્ય જનજીવન પર વિવિધ પ્રકારના નિયંત્રણો અમલી હોવા છતાં યુકેમાં હોસ્પિટલમાં કોવિડના દર્દીઓની સંખ્યા ફરી વધીને ૧૬,૪૦૯ થઈ હતી અને ૨૦ નવેમ્બરે વધુ ૫૧૧ દર્દીઓનું હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું.