લંડનઃ ખૂબ ઓછી સંખ્યામાં લોકો કોરોનાની વેક્સિન લેશે તેવી દહેશત વચ્ચે લોકોને વેક્સિન લેવા માટે સમજાવવાના એક મોટા અભિયાનમાં NHSના વડા સેલિબ્રિટિઝ અને સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં ફોલોઅર્સ ધરાવતા પ્રભાવશાળી વ્યક્તિઓની મદદ લેવા વિચારી રહ્યા છે. લોકો ખૂબ સમજૂ અને જાણીતી વ્યક્તિઓની સલાહ માનીને વેક્સિન લેશે તેવી આશામાં મિનિસ્ટરો અને NHS ઈંગ્લેન્ડ યાદી તૈયાર કરી રહ્યા હોવાનું ‘ગાર્ડિયન’ના અહેવાલમાં જણાવાયું હતું.
હેલ્થ ચીફ ખાસ કરીને લોકોની સંખ્યા અંગે ચિંતિત છે. આ યોજનાની માહિતી સાથેના એક સૂત્રે જણાવ્યું હતું કે મોટું રાષ્ટ્રીય અભિયાન હાથ ધરવામાં આવશે.
NHS ઈંગ્લેન્ડ પ્રખ્યાત હોય અથવા ઘણાં લોકો તેમના ચાહક હોય તેવા જાણીતા ચહેરાઓની શોધ ચલાવી રહ્યા છે. તેઓ સેલિબ્રિટિઝ પણ હોઈ શકે કારણ કે તેઓ ખૂબ સમજુ હોય છે અને મહામારીના સમયમાં તેમણે તેવું કામ પણ કર્યું હોય.
જોકે, તેના માટે કોઈનું નામ નક્કી કરાયું નથી. પરંતુ, NHSના કમ્યુનિકેશન્સ એક્સપર્ટ્સે ખાનગીમાં સૂચવ્યું હતું કે ચાઈલ્ડ ફૂડ પોવર્ટી કેમ્પેન માટે જાણીતા ફૂટબોલ ખેલાડી અને શાહી પરિવારના સભ્યોને કામગીરી આ માટે યોગ્ય ગણી શકાય.
વડા પ્રધાન બોરિસ જહોન્સને કોવિડ રિકવરી ગ્રૂપના ૭૦ નાસ્તિક સાંસદોને જણાવ્યું કે આશા સેવવા અને ખરાબ સમય પાછળ રહી ગયો છે તેવું માનવા માટે તમામ કારણો છે. તેમણે એકતા અને દ્રઢતા માટે અનુરોધ કર્યો હતો.
ઈમ્પિરિયલ કોલેજના તાજેતરના રિએક્ટ સ્ટડીમાં બીજા રાષ્ટ્રીય લોકડાઉન દરમિયાન કોરોના વાઈરસના સંક્રમણમાં ૩૦ ટકાનો ઘટાડો સૂચવાયો હતો. ૧૦૫,૦૦૦ વોલન્ટિયર્સના ટેસ્ટ મુજબ નોર્થ-વેસ્ટ અને નોર્થ-ઈસ્ટમાં અડધાં કરતા વધુ કેસો ઘટ્યા હતા. જોકે, ફોરેન સેક્રેટરી ડોમિનિક રાબે ચેતવણી આપી હતી કે નિયંત્રણોનું સંતુલન જળવાઈ નહીં રહે તો મહામારીનું ત્રીજું મોજું આવી શકે. તેમણે ત્રીજા નેશનલ લોકડાઉનની શક્યતાને નકારી ન હતી.