લંડનઃ ક્વીન એલિઝાબેથ દ્વિતીય નેશનલ હેલ્થ સર્વિસ (NHS)ના ૭૩મી વર્ષગાંઠે બહાદુરી માટેના સર્વોચ્ચ સન્માન જ્યોર્જ ક્રોસ એવોર્ડ એનાયત કરીને સમગ્ર રાષ્ટ્ર તરફથી કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. કોરોના વાઈરસ મહામારીના કપરા કાળમાં NHSના ડોક્ટર્સ, નર્સીસ તેમજ સ્ટાફ સહિત સમગ્ર ઓર્ગેનાઈઝેશને કોરોનાગ્રસ્ત લોકોના જીવન બચાવવા ખડે પગે લોકસેવા જારી રાખીને ભારે હિંમતનું પ્રદર્શન કર્યું હતું.
બ્રિટન ધીમે ધીમે કોરોના મહામારીના પ્રકોપમાંથી બહાર આવી રહ્યું છે ત્યારે આ સન્માનની જાહેરાત કરાઈ છે. આ એવોર્ડ એનાયત કરવાની તારીખ જાહેર કરાઈ નથી. ૯૫ વર્ષીય મહારાણીએ એક પત્રમાં NHSના વર્તમાન અને ભૂતકાલીન સ્ટાફ દ્વારા દર્શાવાયેલી અપ્રતિમ હિંમત, કરુણા અને સમર્પણને બિરદાવવાં સાથે પ્રત્યેક બ્રિટિશર વતી આભાર અને હૃદયપૂર્વકની લાગણી વ્યક્ત કરી હતી. ક્વીને હસ્તલિખિત પત્રમાં જણાવ્યું હતું કે,‘આ સન્માન કોવિડ-૧૯ના કાળમાં અભૂતપૂર્વ કામગીરી કરનારા માટે જ નથી પરંતુ, જેમણે NHSમાં સેવા આપી છે તે તમામનું બહુમાન કરવા માટે છે.’ NHSને સલામ આપવા માટે વીકેન્ડમાં યુકેના લેન્ડમાર્ક્સને ભૂરી રોશનીથી ઝાકમઝોળ કરાયા હતા.
NHSને સન્માનિત કરવા ૧૫ મહિનાથી અભિયાન ચલાવનારા લોર્ડ એશ્ક્રોફ્ટે જણાવ્યું હતું કે, આ સર્વોચ્ચ નાગરિક સન્માનના ૮૧ વર્ષના ઈતિહાસમાં પદાસીન મોનાર્ક દ્વારા સામૂહિક જ્યોર્જ ક્રોસ પ્રદાન કરવાની આ માત્ર ત્રીજી ઘટના છે અને આ વખતે સન્માનિત સંસ્થા કરતાં વધુ યોગ્ય કોઈ હોઈ શકે નહિ. કોવિડ-૧૯થી પીડાતા લોકોની સારવાર માટે જેમણે પોતાના જાનને જોખમમાં મૂક્યો અને ઘણા કિસ્સામાં જાન ગુમાવ્યો તેમની કદર કરવાનો આ યોગ્ય સમય છે.
NHSના ચીફ એક્ઝિક્યુટિવ સર સિમોન સ્ટીવન્સે જણાવ્યું હતું કે આ સન્માન દ્વિતીય વિશ્વ યુદ્ધ પછી દેશે સામનો કર્યો હોય તેવા સૌથી ખતરનાક પડકારનો પ્રતિભાવ આપનારી સમગ્ર ટીમ માટે છે. કિંગ જ્યોર્જ છઠ્ઠા દ્વારા યુદ્ધકાળ મધ્યે સપ્ટેમ્બર ૧૯૪૦માં જ્યોર્જ ક્રોસ એવોર્ડ સ્થાપવાની જાહેરાત કરાઈ હતી જે સામાન્યપણે વ્યક્તિઓને આપવામાં આવે છે.