લંડનઃ સરકાર NHSને તાકીદે બેલઆઉટ પેકેજ નહીં આપે તો પેશન્ટ હેલ્થ કેર ખૂબ કથળી જશે તેવી નિષ્ણાતોએ ચેતવણી આપી છે. કિંગ્સ ફંડ થિન્ક -ટેંકના વિશ્લેષણ મુજબ ૭૫ ટકા હોસ્પિટલો, એમ્બ્યુલન્સ ટ્રસ્ટ અને મેન્ટલ હેલ્થ ટ્રસ્ટ નુક્સાન કરી રહ્યા છે. બે વર્ષમાં આ સંખ્યા ત્રણગણી થઈ છે. આર્થિક તંગીનો ભોગ દર્દીઓ બની રહ્યા છે. A&Eમાં તેમજ રુટિન ઓપરેશનોમાં તો વેઈટિંગ ટાઈમ આખા દાયકામાં ન વધ્યો હોય તેટલો થયો છે.
NHSના વડા સીમોન સ્ટીવન્સે જણાવ્યું હતું કે હાલત હજુ ખરાબ થશે. આ વર્ષે સરકારે પરિસ્થિતિ હળવી કરવા ૧૧૦ બિલિયન પાઉન્ડના બજેટમાં વધારાના ૩.૮ બિલિયન પાઉન્ડ ફાળવ્યા છે અને ૨૦૨૦ સુધી તેટલી રકમ ફાળવવા વચન આપ્યું છે. જોકે, આ રકમ અપૂરતી છે. હજુ વધુ રકમ નહીં ફાળવાય તો દર્દીઓનો વેઈટિંગ ટાઈમ વધી જશે અને દર્દી સારસંભાળનું સ્તર કથળી જશે.
ખર્ચ ઘટાડવા જણાવાતા ઘણી હોસ્પિટલોએ ડોક્ટર અને નર્સિંગ સ્ટાફમાં કાપ મૂકતાં દર્દીસંભાળનું સ્તર નબળું બન્યું છે અને લોકોને સારવાર માટે લાંબો સમય પ્રતીક્ષા કરવી પડે છે. હેલ્થ ફાઉન્ડેશન ચેરિટીના રિપોર્ટમાં ચેતવણી અપાઈ છે કે NHS પાસે પૂરતા GP અને નર્સિંગ સ્ટાફ નથી. માઈગ્રન્ટ્સનું વધેલું પ્રમાણ, વૃદ્ધ વસ્તીમાં વધારો અને સ્થૂળતાની ભારે અસર સામે NHSનું બજેટ કદમ મિલાવી શકતું નથી.