આ સમાચારને આવકારતા નાગેન્દર ચિન્દમે કહ્યું હતું કે સમગ્ર વિશ્વમાં વસતા લાખો ભારતીયોને સ્પર્શતી આ બાબત છે. ભારતીય લોકશાહી માટે આ ઐતિહાસિક નિર્ણય છે. અમારું વર્ષો જુનું સ્વપ્ન સિદ્ધ થયું છે. આ વિજય પ્રવાસી ભારત સંસ્થાના તમામ સમર્થકોને સમર્પિત છે. અમે ગાંધીજીએ દર્શાવેલા માર્ગે લડત આપી હતી. મૂળ હૈદરાબાદના ચિન્દમ દ્વારા ૨૦૧૨માં સ્થપાયેલી સંસ્થા પ્રવાસી ભારતના પ્રમુખ આરતી ગુજારે, જનરલ સેક્રેટરી સૃજન ચડા, સંસ્થાના ઈવેન્ટ્સ લીડ ડો. અમિત મુખરજી, કોર મેમ્બર પ્રીતિ દુમ્પાલા સહિતના અગ્રણીઓએ સુપ્રીમ કોર્ટ અને ભારત સરકારના નિર્ણયોને વધાવી લીધા હતા. સંસ્થાએ બિનનિવાસી ભારતીયોને મતાધિકાર માટે પિટિશન્સ,માગણી પ્રદર્શનો, ભૂખ હડતાળ, લંડન માર્ચ સહિત ગાંધીચીંધ્યા માર્ગો અપનાવ્યા હતા.
વિદેશમાં વસવાટ છતાં અન્ય દેશોનું નાગરિકત્વ નહિ સ્વીકારનારા ભારતીય નાગરિકો મતદાર તરીકે નોંધણી કરાવી શકશે. રોજગાર, શિક્ષણ તેમ જ અન્ય કારણસર નાગરિક પાસપોર્ટમાં દર્શાવેલા વતનમાં ગેરહાજર હોય તો તો તે પણ મતદાર તરીકે નોંધણી કરાવી શકે છે. ભારતના નાયબ ચૂંટણી કમિશનર વિનોદ ઝુત્સીના વડપણ હેઠળની સમિતિએ રિપોર્ટમાં જણાવ્યું હતું કે બિનનિવાસી ભારતીય મતદારને ઈલેક્ટ્રોનિક રીતે કોરું પોસ્ટલ બેલેટ મોકલી અપાશે. મતદાન કરેલું પોસ્ટલ મતપત્ર ચૂંટણી સત્તાવાળાને ફિઝિકલી સુપરત કરવાનું રહેશે. જોકે, ભારતીય દૂતાવાસોમાં NRI મતદારોને મતદાનની પરવાનગી આપવાનો વિદેશ મંત્રાલયે વિરોધ કર્યો હતો. તેમના મતે કેટલાક દેશોમાં NRIની વસતી સ્થાનિક વસતી જેટલી હોય છે માટે દૂતાવાસોમાં મતદાન યોજવું મુશ્કેલ બની શકે છે.