લંડનઃ ચાન્સેલર રિશિ સુનાકે કોરોના વાઈરસ બિઝનેસ લોન્સ સ્કીમને વધુ વિસ્તારી ૫૦૦ મિલિયન પાઉન્ડથી વધુ ટર્નઓવર ધરાવતી કંપનીઓને પણ સમાવી લીધી છે. નવી જોગવાઈઓ હેઠળ ૪૫ મિલિયન પાઉન્ડથી વધુ ટર્નઓવર ધરાવતી ફર્મ્સ ૨૫ મિલિયન પાઉન્ડ સુધીની લોન્સ તેમજ ૨૫૦ મિલિયન પાઉન્ડથી વધુ ટર્નઓવર ધરાવતી ફર્મ્સ ૫૦ મિલિયન પાઉન્ડ સુધીની લોન્સ માટે અરજી કરવાને લાયક ગણાશે.
ચાન્સેલર સુનાકે સરકારની કોરોના વાઈરસ લાર્જ બિઝનેસ ઈન્ટરપ્શન લોન્સ સ્કીમ (CLBILS)નું નવુ વર્ઝન જાહેર કર્યું છે જેમાં, ૫૦૦ મિલિયન પાઉન્ડથી વધુ ટર્નઓવર ધરાવતી કંપનીઓ સહિત તમામ અર્થક્ષમ ફર્મ્સને આવરી લેવાઈ છે. ટ્રેઝરી દ્વારા જાહેર લઘુ અને મધ્યમ કક્ષાના બિઝનેસીસ માટે જાહેર કરાયેલી કોરોના વાઈરસ બિઝનેસ ઈન્ટરપ્શન લોન્સ સ્કીમ હેઠળ લાયક નહિ ગણાતા મોટા બિઝનેસીસ માટે સુધારેલી CLBILS જાહેર કરાઈ છે.
કેટલાક બિઝનેસીસને આર્થિક સહાયની અરજી નકારાઈ હતી જ્યારે ઘણાએ તેમને નજરઅંદાજ કરાયાની ફરિયાદ કરી હતી. આ પછી લોન સ્કીમને વિસ્તારવામાં આવી છે. ચાન્સેલરે જણાવ્યું હતું કે, ‘કોઈ પણ સક્ષમ બિઝનેસ સપોર્ટની સલામત જાળની બહાર રહી જાય તેમ અમે ઈચ્છતા નથી. આથી ઉદાર સહાયયોજના મોટા બિઝનેસીસ સુધી વિસ્તારી છે. લોન્સ અને ગેરન્ટીઝ સાથેની ૩૩૦ બિલિયન પાઉન્ડની સરકારી સહાય શક્ય તેટલા બિઝનેસીસને મળી રહે તે માટે અમે ફાઈનાન્સિયલ સર્વિસીસ સેક્ટર સાથે મળીને કામ કરીશું.’ બિઝનેસ સેક્રેટરી આલોક શર્માએ જણાવ્યું હતું કે કોરોના વાઈરસ મહામારીના કારણે તમામ કદના બિઝનેસીસને ફટકો વાગ્યો છે અને સરકાર તેમને ચાલુ રાખવામાં મદદ કરવા માગે છે. યોજનાના વિસ્તારથી મોટી ફર્મ્સને પણ લાભ મળવા સાથે હજારો લોકોને નોકરીની સલામતી અને દેશના અર્થતંત્રની સુરક્ષા જળવાઈ રહેવામાં મદદ મળશે.