અપરાધો નહિ ઘટવા વિશે કોઈ બહાના નહિ ચાલેઃ પ્રીતિ પટેલની સ્પષ્ટ વાત

હોમ સેક્રેટરીને વડા પ્રધાનનું મજબૂત સમર્થનઃ સ્ટાફને ધમકાવવાના મીડિયા આક્ષેપો વાહિયાત

Wednesday 04th March 2020 05:11 EST
 
 

લંડનઃ હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે ક્રાઈમ કોન્ફરન્સમાં અધિકારીઓને સ્પષ્ટપણે જણાવ્યું છે કે અપરાધો નહિ ઘટવા બાબતે કોઈ બહાના ચલાવી લેવાશે નહિ. તેઓ આ મુદ્દે પોલીસને જવાબદાર ઠેરવવામાં જરા પણ દિલગીરી નહિ અનુભવે. હોમ સેક્રેટરીએ જણાવ્યું હતું કે હત્યાઓ, ગંભીર હિંસા અને નેબરહૂડ ક્રાઈમમાં ઘટાડાને પ્રાથમિકતા મળવી જોઈએ. પોલીસ ઓફિસર્સને તેમનો મજબૂત ટેકો છે જ પરંતુ, આપણે બધાએ એકત્ર થઈ ક્રાઈમ ઘટે તે માટે કામ કરવાનું રહેશે.

વેસ્ટમિન્સ્ટરમાં નેશનલ પોલીસ ચીફ્સ કાઉન્સિલ અને એસોસિયેશન ઓફ પોલીસ એન્ડ ક્રાઈમ કમિશનર્સ સમિટમાં હોમ સેક્રેટરીએ સ્પષ્ટ કર્યું હતું કે સરકાર ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ત્રણ વર્ષમાં નવા ૨૦,૦૦૦ પોલીસ અધિકારીઓની ભરતી કરી રહી છે અને પોલીસ ફોર્સમાં મોટા પાયે રોકાણ કરી રહી છે ત્યારે લોકોની અપેક્ષા ઓછાં અપરાધ અને સલામત શેરીઓ જેવાં પરિણામો આવે તેવી જ રહેશે.

દરમિયાન, તાજેતરના મીડિયા અહેવાલો જણાવે છે કે હોમ સેક્રેટરી તેમના કર્મચારીઓને ધમકાવતાં રહે છે. જોકે, સરકારે આવા અહેવાલોને ‘વાહિયાત’ ગણાવી ફગાવી દીધા છે. બીજી તરફ, ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટ દ્વારા પણ પ્રીતિ પટેલના સમર્થનમાં કહેવાયું છે કે વડા પ્રધાન ‘હોમ સેક્રેટરીમાં અને તેમના મહત્ત્વપૂર્ણ કાર્યમાં સંપૂર્ણ વિશ્વાસ ધરાવે છે.’

પ્રીતિ પટેલ સામે એવો પણ આક્ષેપ કરાયો છે કે તેઓ પોતાનાં ડિપાર્ટમેન્ટમાં સૌથી સીનિયર કાયમી સિવિલ સર્વન્ટ સર ફિલિપ રુટનામની હકાલપટ્ટી કરાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. ધ ટાઈમ્સમાં અનામી સૂત્રોને ટાંકતા અહેવાલમાં એવો આક્ષેપ કરાયો હતો કે MI5ના વડાઓને તેમની સાથે કામ કરવું મુશ્કેલ પડે છે. ઈન્ટેલિજન્સ એજન્સીઓના વડાને તેમનામાં વિશ્વાસ નથી અને તેમનાથી માહિતી છુપાવવામાં આવે છે. હોમ ઓફિસના સંયુક્ત નિવેદનમાં જણાવાયું હતું કે હોમ સેક્રેટરી પટેલ અને સર ફિલિપ મીડિયામાં પ્રસિદ્ધ ખોટા આક્ષેપોથી ચિંતિત છે.

દરમિયાન, પૂર્વ એન્વિરોન્મેન્ટ સેક્રેટરી થેરેસા વિલિયર્સે જણાવ્યું છે કે ‘ઉચ્ચ જાહેર હોદાઓ પર રહેલી મહિલાઓ વિરુદ્ધ ઘૃણાસ્પદ બ્રીફિંગ્સથી તેમને નફરત થાય છે.’ તેમણે એમ પણ કહ્યું હતું કે,‘આવું વારંવાર થતું રહે છે અને પ્રીતિ પટેલ વિરુદ્ધના આવા આક્ષેપોને માનતી નથી. હું માનું છું કે તેઓ વિશેષ અસરકારક હોમ સેક્રેટરી છે અને જે લોકો આવાં અહેવાલો આપે છે તેમણે આમ બંધ કરી દેવું જોઈએ કારણકે આ વાજબી નથી અને નુકસાનકારી છે. ચોક્કસપણે કેટલાક લોકો હોમ સેક્રેટરીને ખરાબ ચીતરવા બહાર પડ્યા છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter