લંડનઃ સોલિસિટર્સ ડિસિપ્લિનરી ટ્રિબ્યુનલે ભારતીય મૂળના રજિસ્ટર્ડ વિદેશી વકીલ અભિષેક કુમારને વકીલોના રજિસ્ટરમાંથી કાયમ માટે હટાવી દીધાં છે. તેમની સામે એઆઇ દ્વારા તૈયાર કરાયેલા ખોટા અને ભ્રામક કાનૂની સંદર્ભો અને ચુકાદાઓ રજૂ કરવાનો આક્ષેપ સાબિત થયો હતો. બ્રિટનની કાનૂની સંસ્થામાં એઆઇ દ્વારા ખોટી માહિતી આપવા સંબંધિત આ પ્રથમ કેસ નોંધાયો છે. આ પહેલાં પણ તેમણે ગેરકાયદેસર રીતે યુકેમાં રહેતા વ્યક્તિને પોતાની પેઢીમાં રોકડ વેતન આપી નોકરીએ રાખ્યો હતો. ઇમિગ્રેશન કાયદાના ઉલ્લંઘન બદલ વર્ષ 2024માં અદાલતે તેમને 12 મહિનાના કમ્યુનિટી ઓર્ડર અને 150 કલાકની મફત સેવા કરવાની સજા ફટકારી હતી. પોતાના બચાવમાં કુમારે રજૂઆત કરી હતી કે તેઓ શારીરિક અને માનસિક રીતે અસ્વસ્થ હતા અને તેમની પાસે એઆઇના પરિણામોની ચકાસણી કરવાની કુશળતા નહોતી. જોકે, ટ્રિબ્યુનલે આ દલીલો ફગાવી દીધી હતી.

