સંખ્યાબંધ વેક્સિન વિકસાવવામાં આવી રહી હોવાથી કોરોના વાઈરસ મહામારીનો અંત આવશે તેવું લાગે છે અને એર ઈન્ડિયા તમિળનાડુના પાટનગર ચેન્નાઈને બ્રિટનના પાટનગર લંડન સાથે નવમા શહેર તરીકે જોડીને આવતા વર્ષે જાન્યુઆરીથી ચેન્નાઈ – લંડન વચ્ચે નોન – સ્ટોપ ફ્લાઈટ શરૂ કરવાનું આયોજન કરી રહી છે. હાલ એર ઈન્ડિયા દિલ્હીથી લંડન (વીકમાં સાત ફ્લાઈટ), મુંબઈ (વીકમાં ચાર ફ્લાઈટ), કોચી (વીકમાં ત્રણ ફ્લાઈટ), અમદાવાદ (વીકમાં બે ફ્લાઈટ), બેંગાલુરુ (વીકમાં બે ફ્લાઈટ), ગોવા(વીકમાં બે ફ્લાઈટ), કોલકાતા (વીકમાં એક ફ્લાઈટ) અને અમૃતસર (વીકમાં એક ફ્લાઈટ) નોન – સ્ટોપ ફ્લાઈટ ઓપરેટ કરી રહી છે.
૧૫મી ડિસેમ્બરને મંગળવારે લંડન – અમદાવાદ વચ્ચે એર ઈન્ડિયાની ડાયરેક્ટ ફ્લાઈટ સેવા ફરી શરૂ થઈ તેને પાંચ વર્ષ પૂરા થાય છે.
૨૦૧૫માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વેમ્બલી સ્ટેડિયમમાં ૬૦,૦૦૦ લોકોની ઉપસ્થિતિમાં આ ફ્લાઈટ ફરી શરૂ કરવાની જાહેરાત કરી હતી. યુકેમાંના સાહસિક ગુજરાતી સમુદાયને મદદરૂપ થવા માટે સતત ચલાવેલા અભિયાન બદલ વડા પ્રધાન મોદીએ ગુજરાત સમાચાર/એશિયન વોઈસના પ્રકાશક/તંત્રી સીબી પટેલના પ્રયાસોની પ્રશંસા કરી હતી. તે સમયે વડા પ્રધાન મોદી યુકેની ત્રણ દિવસની મુલાકાતે હતા. તેમણે કહ્યું,‘ જ્યારે જ્યારે મારા મિત્ર સીબી પટેલ ગુજરાતની મુલાકાતે આવે અને હું દિલ્હીમાં હતો ત્યારે પણ તેઓ આ બાબતે ‘મારી બોચી પકડતા’ હતા. આજે તેમના કારણે જ હું લંડન અને અમદાવાદ વચ્ચે ડાયરેક્ટ ફ્લાઈટની ફરી શરૂઆતની જાહેરાત કરી રહ્યો છું,’
બન્ને શહેરો વચ્ચેની ડાયરેક્ટ ફ્લાઈટ લગભગ ૧૨ વર્ષ પહેલા ૨૦૦૮માં બંધ થઈ ગઈ હતી. પરિણામે, લગભગ પાંચ વર્ષ કરતાં વધુ સમય સુધી સીબી પટેલ ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ના માધ્યમથી અમદાવાદ અને લંડન વચ્ચે ડાયરેક્ટ ફ્લાઈટની માગણી કરી રહેલા ઈન્ડિયન ડાયસ્પોરાની ચિંતાઓને રજૂ કરી હતી. આ ડાયરેક્ટ ફ્લાઈટ ફરી શરૂ કરવાના અભિયાનના પ્રણેતા તરીકે સીબીને કોર્પોરેટ લોયર, પોલિટિકલ સ્ટ્રેટેજિસ્ટ અને વડા પ્રધાન મોદીના ડિરેક્ટર ઓફ કોમ્યુનિકેશન્સની મદદ મળી હતી. ભારતના નવા નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પૂરી સમક્ષ પણ આ બાબત ઉઠાવવામાં આવી હતી. આ મામલે પિટીશન ફોર્મ પર ૩૦,૦૦૦થી વધુ લોકોએ ત્રણ વખત તેમના હસ્તાક્ષર કર્યા હતા. ફ્લાઈટ ફરી શરૂ થઈ તે દિવસે યોગાનુયોગ સરદાર પટેલ નિર્વાણ દિન હતો અને આ નવી ફ્લાઈટથી ગુજરાતના છ લાખ કરતાં વધુ ભારતીયોની દ્રઢ માગણી પૂરી થઈ હતી. તેનાથી આર્થિક અને ઔદ્યોગિક હબ એવા ગુજરાતથી આવતા પેસેન્જરોને મુંબઈમાં ફ્લાઈટ બદલવાની કોઈ જરૂર ન હોવાનું સુનિશ્ચિત થયું હતું.
ક્રોયડનમાં રહેતા મૂળ વડોદરાના અરવિંદભાઈ એમ પટેલ અને તેમના પત્ની નૈનાબેન ૨૦૧૫માં આ ફ્લાઈટમાં પ્રવાસ કરનારા પ્રથમ પેસેન્જર્સ હતા. તે વખતે તેમણે ગુજરાત સમાચાર/એશિયન વોઈસને જણાવ્યું હતું,‘ અમારા જેવા મોટી ઉંમરના લોકો માટે હવે ખૂબ સરળ થઈ ગયું છે. હું ૩૦-૪૦ વર્ષથી ક્રોયડનમાં રહું છું. મને આ ફ્લાઈટમાં કોઈ તકલીફ પડી ન હતી. અમે અમદાવાદમાં જ ઈમિગ્રેશનની કામગીરી પૂરી કરી હતી. ફ્લાઈટમાં ઈન્ડિયન વેજિટેરિયન ફૂડ અપાયું હતું. તે સરસ હતું. ફ્લાઈટની અંદરની સુવિધા પણ સારી હતી. અમને ખૂબ મજા આવી. નમોએ આ ડાયરેક્ટ ફ્લાઈટ ફરી શરૂ કરીને ખૂબ સારું કર્યું છે. ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ની પિટીશનમાં અમે પણ સહી કરી હતી. ડાયરેક્ટ ફ્લાઈટની સુવિધા પૂરી પાડીને મદદ કરવા બદલ આપનો આભાર. સાથે જ અમને વિદાય આપવા આવેલા શ્રી સૌરભભાઈ પટેલનો પણ આભાર.’