અમદાવાદ પ્લેન ક્રેશઃ ‘જખમ’ હજુ રૂઝાયા નથી

પીડિત પરિવારજનોના સવાલો ‘જૈસે થે’, હજુ ક્યાં સુધી રાહ જોવી પડશે...

Tuesday 16th June 2026 13:01 EDT
 
 

લંડનઃ ભારતના અમદાવાદથી લંડનના ગેટવિક એરપોર્ટ સુધીની એર ઇન્ડિયાની ફ્લાઇટ 12 જૂન 2025ના રોજ ટેક ઓફની ગણતરીની મિનિટમાં ક્રેશ થતાં મંઝિલ સુધી પહોંચી શકી નહોતી. આ ગમખ્વાર દુર્ઘટનાને એક વર્ષ વીતી ગયું છે પરંતુ તેનો ભોગ બનનારા પ્રવાસીઓ, મેડિકલ હોસ્ટેલના ડોક્ટરો, જમીન પર રહેલા કમભાગીઓના પરિવારજનો ન્યાય માટે વલખાં મારી રહ્યાં છે.

પ્લેન ક્રેશની પ્રથમ વરસીએ અમદાવાદની સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આયોજિત પ્રાર્થનાસભામાં મૃતકોના પરિવારજનોએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યાં હતાં પરંતુ તેમના મનમાં રહેલા સવાલોના કોઇ જવાબ નહોતા. ઘણા બ્રિટિશ ભારતીય મૃતકોના પરિવારજનો પ્રથમ વરસી નિમિત્તે અમદાવાદ પહોંચ્યા હતા અને દુર્ઘટનાસ્થળે સ્વજનોને શ્રદ્ધાંજલિ આપવા ઇચ્છતા હતા પરંતુ તેમને તે સ્થળે કોઇ કાર્યક્રમ યોજવાની પરવાનગી અપાઇ નહોતી.

દુર્ઘટનાની તપાસ કરી રહેલી ભારતની એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોએ પણ તેમના સવાલના જવાબ આપવાના બદલે વચગાળાનું નિવેદન આપીને જાણે કે હાથ ખંખેરી લીધાં હતાં. પ્રથમ વરસી નિમિત્તે તપાસના ફાઇનલ રિપોર્ટની વાટ જોઇ રહેલા પીડિત પરિવારજનો વ્યાપક આક્રોશ સાથે ફક્ત વલોપાત જ કરવા મજબૂર હતાં. વળતર, પરિજનોની ગૂમ થયેલી વસ્તુઓ, મૃતકોના અવશેષોમાં થયેલી ઘાલમેલ સહિતના અનેક સવાલો ગૂંજી રહ્યાં હતાં પરંતુ સત્તાવાળાઓ મગનું નામ મરી પાડવા તૈયાર નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter