લંડનઃ યુકે સ્થિત શિક્ષણવિદ્દ અમૃત વિલ્સનનું ઓસીઆઇ કાર્ડ રદ કરવાના નિર્ણયને યોગ્ય ઠેરવતાં દિલ્હી હાઇકોર્ટે ટિપ્પણી કરી હતી કે આંતરરાષ્ટ્રીય મંચ પર દેશની છબિ ખરડવાને અમે પરવાનગી આપી શકીએ નહીં. વિલ્સનના કિસ્સામાં ભારત સરકારે સીલબંધ કવરમાં પોતાનો જવાબ અને કારણો રજૂ કર્યાં હતાં. કોર્ટે નોંધ કરી હતી કે ગુપ્તચર અહેવાલમાં આરોપ મૂકાયો છે કે વિલ્સને ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો.
દિલ્હી હાઇકોર્ટના જસ્ટિસ કૌરવે જણાવ્યું હતું કે, આપણે એટલો પણ સહિષ્ણુ દેશ નથી કે આપણે આપણા દેશની ટીકા અને આંતરરાષ્ટ્રીય મંચ પર બદનામી સાંખી લઇએ. વિલ્સનની સામે આઇબીના રિપોર્ટ છે કે તેમણે ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો.
82 વર્ષીય બ્રિટિશ ભારતીય લેખિકા અને પત્રકાર વિલ્સનનું ઓસીઆઇ કાર્ડ ભારત સરકારે 2023માં રદ કરી દીધું હતું. સરકારે તેમના પર ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનો આરોપ મૂક્યો હતો. વિલ્સને સરકારના આ નિર્ણયને દિલ્હી હાઇકોર્ટમાં પડકાર આપ્યો હતો. તેમણે ઓસીઆઇ કાર્ડ રદ કરવાને ગેરકાયદેસર અને પક્ષપાતી નિર્ણય ગણાવ્યો હતો.


