લંડનઃ કોરોના વાઈરસના પ્રસારને અટકાવવા જાહેર કરાયેલી તાળાબંધીના પરિણામે યુકેના માંદા અર્થતંત્રને ગંભીર અસર થશે તેવી ચિંતા વચ્ચે બોરિસ સરકાર યુદ્ધના ધોરણે અર્થતંત્રને બચાવવા બિલિયન્સ પાઉન્ડના બેલઆઉટના જાહેરાત કરવા આગળ વધી છે. ચાન્સેલર રિશિ સુનાક સરકારી અર્થનિષ્ણાતોની સલાહ મુજબ અર્થતંત્રને વેગ આપવા માટે બૂસ્ટર ડોઝ તરીકે રાહત પેકેજના ભાગરુપે યુટિલિટી બિલ્સ અને કાઉન્સિલ ટેક્સને રદ કરી શકે છે તેમજ તાળાબંધીથી નુકસાન જવાનું છે તેવી ફર્મ્સને આવકના ગેરંટી પણ આપશે.
વડાપ્રધાન બોરિસ જ્હોન્સને નાગરિકોને સંક્રમણથી બચાવવા માટે પબ્સ અને ક્લબોમાં લોકોના જવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. જેને પગલે માલિકોને ચિંતા પેઠી છે કે તેમનો જીવનનિર્વાહ કેવી રીતે ચાલશે. પબ અને ક્લબ માલિકોએ કહ્યું છે કે કોરોના વાયરસ ના ફેલાય તે માટે સરકારે તો લોકોને પબ્સ અને ક્લબોમાં જવા ના પાડી છે પણ અમને પબ અને ક્લબ બંધ રાખવા કોઇ સૂચના આપી નથી, અમારું નુકસાન કોણ ભોગવશે.
બજેટમાં ૧૨ બિલિયન પાઉન્ડના ફન્ડની જાહેરાતથી પણ તેઓમાં નારાજગી છે. અમે ઇન્સ્યોરન્સ ક્લેઈમ પણ નહિ કરી શકીએ તેમ પણ તેમનું કહેવું છે.
ઓફિસ ફોર બજેટ રીસ્પોન્સિબિલિટી ચીફ રોબર્ટ ચોટે દ્વારા સૂચન કરાયું છે કે લોકોને મદદ કરવા માટે સરકારે યુટિલિટી બિલ્સ અને કાઉન્સિલ ટેક્સ રદ કરવા તરફ આગળ વધવું જોઈએ.
પૂર્વ ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્નના પૂર્વ સલાહકારે સૂચન કર્યું છે કે સરકારે ૪૫૦ બિલિયન પાઉન્ડ જેટલી રાહતો જાહેર કરવી પડશે. ફ્રાન્સમાં પણ પ્રેસિડેન્ટ ઈમાન્યુએલ મેક્રોંએ તાળાબંધી જાહેર કરવા સાથે વેપાર-ધંધાવાળાઓને નુકસાન ન થાય તે માટેનું ૩૦૦ બિલિયન પાઉન્ડનું પેકેજ પણ જાહેર કરી કોઈને નુકસાનની નોબત નહિ આવે તેવી ખાતરી ઉચ્ચારી છે.
ફોન્સ ફોર યુના માલિક જ્હોન કોડવેલે ચેતવણી આપી છે કે આ અંધાધૂધિથી અર્થતંત્રને સેંકડો બિલિયન અથવા ટ્રિલિયન્સ પાઉન્ડનું નુકસાન થઈ શકે છે. સરકારી મદદ વિના તો લાખો લોકો કામવિહોણા બની જશે.