લંડનઃ વિદેશમાં અસાયલમ માટે યુવા ગુજરાતીઓ હવે બળજબરીથી લગ્ન કરાવાતા હોવાના કારણો રજૂ કરી રહ્યાં છે. યુકે, કેનેડા અને ન્યૂઝીલેન્ડ જેવા દેશોના ઇમિગ્રેશન સત્તાવાળાઓ સમક્ષ બળજબરીથી લગ્ન, પારિવારિક હિંસા, આંતરજ્ઞાતીય સંબંધોમાં ધમકીઓ અને સમલૈંગિક સંબંધોના વિરોધને લગતા દાવાઓ રજૂ કરવામાં આવી રહ્યા છે.
નવેમ્બર 2025માં ગાંધીનગરની એક મહિલાને યુકેમાં રાજ્યાશ્રય આપવામાં આવ્યો હતો. તેણે સત્તાવાળાઓને જણાવ્યું કે ભારત પરત ફરવાથી તેના પર અનિચ્છનીય લગ્ન કરવાનું દબાણ આવશે. આ મહિલા સ્ટુડન્ટ વિઝા પર યુરોપ ગઈ હતી અને બાદમાં યુકેમાં પ્રવેશ કર્યો હતો.
અન્ય એક કિસ્સામાં, અમદાવાદની એક મહિલાને કેનેડામાં અસાયલમ મંજૂર કરવામાં આવ્યું હતું, જેણે ઈમિગ્રેશન સત્તાવાળાઓને જણાવ્યું હતું કે તે મહિલાઓ તરફ આકર્ષિત છે અને તેને વિજાતીય લગ્નમાં દબાણપૂર્વક ધકેલાવાનો ડર હતો.
ગેરકાયદેસર ઇમિગ્રેશન નેટવર્ક સાથે સંકળાયેલા એક સૂત્રના જણાવ્યા અનુસાર, કેટલાક ઇમિગ્રન્ટ્સને પારિવારિક ઝગડાઓને ઉત્પીડનના પુરાવા તરીકે દર્શાવવાની સલાહ આપવામાં આવી રહી છે. કેટલાક કિસ્સાઓમાં લોકો ભારતમાં નકલી ઝગડા ઉભા કરીને માતા-પિતા સામે એફઆઈઆર નોંધાવે છે અને બાદમાં તેનો ઉપયોગ વિદેશી દેશમાં રાજ્યાશ્રય મેળવવાના સપોર્ટિંગ પુરાવા તરીકે કરે છે.


