લંડનઃ વર્ષ 2009માં સાઉથ આફ્રિકામાં યોજાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) સંબંધિત મામલામાં પૂર્વ ચેરમેન લલિત મોદી અને BCCI ના પૂર્વ અધિકારીઓને મોટી કાનૂની સફળતા મળી છે. 16 વર્ષથી વધુ સમય સુધી ચાલેલી તપાસ અને કાનૂની કાર્યવાહી બાદ SAFEMA હેઠળની અપીલેટ ટ્રિબ્યુનલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા લાદવામાં આવેલા દંડને રદ કરી દીધો છે.
ટ્રિબ્યુનલે ED ની મુખ્ય દલીલને ફગાવી દેતા સ્પષ્ટ કર્યું હતું કે IPL 2009 સાથે જોડાયેલા વિદેશી નાણાકીય વ્યવહારો કરન્ટ એકાઉન્ટ ટ્રાન્ઝેક્શન હતા, નહીં કે કેપિટલ એકાઉન્ટ. લલિત મોદી BCCIના FEMA અનુપાલન માટે જવાબદાર નહોતા અને ED દ્વારા દાવો કરવામાં આવ્યો હતો તેવા કોઈ નાણાકીય અધિકારો તેમને આપવામાં આવ્યા નહોતા.
લલિત મોદીએ ચુકાદાને સૌથી મોટા કાનૂની વિવાદનો અંત ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા 16 વર્ષથી હું સતત એક જ વલણ પર કાયમ રહ્યો છું કે મેં ભારતીય ક્રિકેટ અને IPLના શ્રેષ્ઠ હિતમાં અને નિષ્ઠાપૂર્વક કામ કર્યું છે તથા કોઈ અંગત ગેરરીતિ આચરી નથી. હું હવે જીવનમાં આગળ વધવા માગુ છું અને ભારત પરત ફરીશ. આ નિર્ણય માત્ર મારી અંગત જીત નથી પરંતુ કાનૂની પ્રક્રિયા અને પુરાવા આધારિત ન્યાયની જીત છે. સમય સૌથી મોટો ન્યાયાધીશ છે અને 16 વર્ષ પછી સત્ય સામે આવ્યું છે.


