લંડનઃ કોરોના મહામારીના પ્રારંભના સપ્તાહોમાં માર્યા ગયેલા હજારો વિકલાંગોને એનએચએસની હોસ્પિટલોમાં ઇન્ટેન્સિવ કેર ટ્રીટમેન્ટથી વંચિત રખાયા હોવાનો આરોપ ચેરિટીઓ અને પીડિત પરિવારો દ્વારા મૂકાયો છે. આ અંગેના પુરાવા કોવિડ ઇન્કવાયરીને ઉપલબ્ધ કરાવવામાં આવ્યાં છે. પુરાવામાં દર્શાવવામાં આવ્યું છે કે કોરોનાગ્રસ્ત બનતાં પહેલાં આ લોકો તંદુરસ્ત હોવા છતાં ડાઉન સિન્ડ્રોમ, ઓટિઝમ અને અન્ય વિકલાંગતાથી પીડાતા લોકોની મેડિકલ ફાઇલ પર ડુ નોટ એટેમ્પ્ટની નોંધ મૂકી દેવાઇ હતી.
આ પ્રકારની નોંધ ઘણીવાર દર્દીની સંમતિ અથવા તો સમજ વિના જ મૂકી દેવાતી હોય છે તેવો આરોપ ચેરિટીઓ દ્વારા મૂકાયો છે. તેમની વિકલાંગતાને ખોટી રીતે માર્ચ 2020માં કોરોના મહામારીના પ્રારંભે ક્લિનિકલી ફ્રેઇલ ગણાવી દેવામાં આવી હતી.