લંડનઃ યુકેમાં એક પછી એક સરકારો દ્વારા આકરા બનાવાઇ રહેલા ઇમિગ્રેશન નિયમોના કારણે ભારતીયોમાં ફફડાટ પ્રવર્તી રહ્યો છે. આકરા નિયમોના કારણે હવે ભારતીયો બ્રિટનને અલવિદા કહી રહ્યાં છે. યુકે છોડીને પરત ફરી રહેલા વિદેશી નાગરિકોમાં ભારતીયો મોખરે છે. અભ્યાસ અર્થે આવેલા આશરે 51,000 ભારતીયો, કામકાજ અર્થે આવેલા 21,000 અને અન્ય અસ્પષ્ટ કારણોસર આવેલા 3,000 ભારતીયોએ બ્રિટનને અલવિદા કહી દીધું છે.
બીજીતરફ યુકે આવી રહેલા વિદેશીઓમાં પણ ભારતીયો જ મોખરે છે. હેલ્થ એન્ડ કેર વર્કર વિઝા, સ્કિલ્ડ વર્કર વિઝામાં એક્સટેન્શન મેળવવામાં ભારતીયો ટોચ પર રહ્યાં છે તો સ્ટડી વિઝા કેટેગરીમાં પણ ભારતીય વિદ્યાર્થીઓનો દબદબો રહ્યો છે.
બ્રિટનમાં કાયમી વસવાટનો મોહ પણ ભારતીયોમાં સૌથી વધુ છે અને બ્રિટન આવી ચૂકેલા ભારતીયો નાગરિકત્વ અને ઇન્ડેફિનેટ લીવ ટુ રિમેઇન માટેના નિયમો આકરા બને તે પહેલાં મોટી સંખ્યામાં અરજી કરી રહ્યાં છે. છેલ્લા એક વર્ષમાં નાગરિકતા માટે અરજી કરનારા વિદેશીઓમાં પણ ભારતીયો મોખરે રહ્યાં છે.

