લંડનઃ બ્રિટિશ વાટાઘાટકારો બ્રેક્ઝિટ સમજૂતી વિશે વધુ વાતચીત માટે બ્રસેલ્સ પહોંચ્યા છે ત્યારે જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલે જણાવ્યું હતું કે વ્યવસ્થિત બ્રેક્ઝિટ સમજૂતી સધાય તેની આશા આખરી દિવસ સુધી રહેશે. જોકે, સ્પેનના કાર્યકારી વડા પ્રધાન પેડ્રો સાન્ચેઝે સ્પષ્ટ કર્યું છે કે નો-ડીલ તરફ આગળ વધી રહેલા યુકેને ઈયુ દ્વારા હવે વધુ છૂટછાટ નહિ અપાય.
ચાન્સેલરે બર્લિનમાં જણાવ્યું હતું કે જર્મન સરકાર આ શક્ય બનાવવા માટે તમામ કરી છૂટશે. જોકે, અવ્યવસ્થિત બ્રેક્ઝિટ માટે પણ ઈયુ તૈયાર રહેશે. તેમણે કહ્યું હતું કે એ તો હકીકત છે કે અમે ગાઢ આર્થિક, વિદેશી અને સુરક્ષા સહકાર તેમજ મિત્રતાપૂર્ણ સંબંધો રાખવા માગીશું તો પણ બ્રિટનના બહાર ગયા પછી અમારા બારણે આર્થિક હરીફ ઉભો થશે.