લંડનઃ એનર્જી રેગ્યુલેટર ઓફજેમે એનર્જી કંપનીઓને પરિવારો પર સ્ટેન્ડિંગ ચાર્જ નહીં લાદવા આદેશ આપ્યો છે. ગેસ અને વીજળી માટેના હાલના ભાવ માળખાને કારણે ઘણા ગરીબ પરિવારો દંડાતા હોવાની ચિંતા ઓફજેમે વ્યક્ત કરી છે.
ઓફજેમે તૈયાર કરેલી નવી યોજના અનુસાર એનર્જી કંપનીઓએ આગામી શિયાળાથી ગ્રાહકોને ઝીરો સ્ટેન્ડિંગ ચાર્જ ઓફર કરવાનો રહેશે. એનર્જી બિલમાં થઇ રહેલા વધારાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
વર્તમાન ભાવ માળખા અંતર્ગત ગ્રાહક કોઇ પ્રકારની એનર્જી ન વાપરે તો પણ તેણે પ્રતિ દિવસ સપ્લાયરને સ્ટેન્ડિંગ ચાર્જ ચૂકવવાનો રહે છે. તેના કારણે વીજળી અને ગેસનો ઓછો ઉપયોગ કરતા ગ્રાહકો નાહકના દંડાઇ રહ્યાં છે. 2019થી સ્ટેન્ડિંગ ચાર્જમાં 43 ટકાનો વધારો થઇ ચૂક્યો છે.
ઓફજેમ દ્વારા જાહેર કરાયેલી નવી પ્રાઇસ કેપના કારણે જાન્યુઆરીથી ગ્રાહકોએ એનર્જી બિલ પેટે પ્રતિ વર્ષ સરેરાશ 338 પાઉન્ડ વધારે ચૂકવવા પડશે. ઓફજેમે જણાવ્યું હતું કે, સ્ટેન્ડિંગ ચાર્જ પર માગવામાં આવેલા મંતવ્યો માટે અમને હજારો લોકોના જવાબ પ્રાપ્ત થયાં છે. ઘણાએ સ્ટેન્ડિંગ ચાર્જ નાબૂદ કરવાની માગ કરી છે. જેથી તેઓ એનર્જી બિલ ચૂકવવાની સારી રીતે વ્યવસ્થા કરી શકે.


