લંડનઃ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ બ્રિટનની સડકો પર પણ જોવા મળે તેવી ભીતિ મધ્યે ભારતીય સેનાના ઓપરેશન સિંદુર બાદ બુધવારે સ્થિતિ શાંત જોવા મળી હતી અને ભારતીય અને પાકિસ્તાની ડાયસ્પોરા વચ્ચે શાંતિ જળવાઇ રહી હતી.
બ્રિટિશ ઇન્ડિયન વોઇસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમારી લડાઇ કોઇ સમુદાય, ધર્મ કે રાષ્ટ્રીયતા સામે નથી. અમારી લડાઇ આતંકવાદ અને તેના પ્રયોજક દેશો સામે છે. ભારતીય સમુદાય ભારતની સૈનિક કાર્યવાહીનું સમર્થન કરે છે. ભારત છેલ્લા ઘણા દાયકાથી સંયમ જાળવી રહ્યો હતો. આ કોઇ અંધાધૂંધ હુમલો નહોતો પરંતુ પાકિસ્તાની ધરતી પરથી ભારતમાં કરાતા આતંકવાદી હુમલાઓ સામે ગણતરીપુર્વકનો જવાબ હતો. અમે અમારા વતનના દેશની પડખે છીએ. આતંકવાદ સામે એકજૂથ થવાનો સમય આવી ગયો છે કારણે સંયમ અને મૌન લાંબાગાળાનો વિકલ્પ નથી.
બ્રિટિશ ભારતીય સંતોષ પાટિલે જણાવ્યું હતું કે, નાગરિક સભ્યતામાં આતંકવાદને કોઇ સ્થાન નથી. દુનિયામાં આતંકવાદીઓનું સમર્થન કરતા જૂથોના આવા જ હાલ થવા જોઇએ. બ્રિટિશ ભારતીયો ભારતના પગલાને યોગ્ય માને છે. આ પાકિસ્તાન પર નહીં પરંતુ આતંકવાદ પર હુમલો છે.
કન્નડીગારુ યુકેના ગણપતિ ભટે જણાવ્યું હતું કે, ભારતીય સમુદાય ન્યાય થયો હોવાની અનુભૂતિ કરી રહ્યો છે. આઝાદીના સમયથી ભારત આતંકવાદથી પીડાતો રહ્યો છે. એક કે બે ઘટનાઓને બાદ કરતાં અગાઉ આવી પ્રતિક્રિયા અપાતી નહોતી. આ વખતે જે રીતે આતંકવાદી માળખાને નાબૂદ કરાયું છે તેનાથી અમે સંતુષ્ટ છીએ. બ્રિટનમાં બંને સમુદાયો વચ્ચે તણાવની ચિંતા હતી પરંતુ મને લાગે છે કે લોકો પાકિસ્તાન અને આતંકવાદીઓને અલગ અલગ રીતે મૂલવશે.
બ્રિટિશ કાશ્મીરી અમજિદ અલી અકરમ જર્રાલ રાજપૂતે જણાવ્યું હતું કે, જે કાંઇ થઇ રહ્યું છે તે ભયાનક છે. મારા પરિવારના સભ્યો સરહદની બંને તરફ છે. વિશ્વનું કાશ્મીર મુદ્દે ધ્યાન ખેંચવા માટેનો આ એક અલગ કારસો છે. કાશ્મીરમાં જે કાંઇ થઇ રહ્યું છે તે બ્રિટનની કરણીઓ છે.
યુકેમાં જીઓ ન્યૂઝના મુર્તુઝા અલી શાહે જણાવ્યું હતું કે, બ્રિટિશ પાકિસ્તાનીઓ દેશમાં તેમના પરિવારજનો માટે ચિંતિત છે. બ્રિટનની સડકો પર કોઇ તણાવ નથી અને બંને સમુદાય સાથે મળીને રેસિઝમ સામે લડતાં રહ્યાં છે.