લંડનઃ યુકેની મુલાકાતે આવેલા ભારતના સાંસદોના પ્રતિનિધમંડળે સોમવારે ફોરેન, કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસ (એફસીડીઓ) ખાતે ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદના નેતૃત્વમાં યુકેનાઇન્ડો-પેસિફિક મિનિસ્ટર કેથરિન વેસ્ટ સાથે મુલાકાત કરી હતી. વેસ્ટે જણાવ્યું હતું કે, આતંકવાદ સામેની લડાઇમાં યુકે ભારતની સાથે છે.
આતંકવાદ સામે ભારતની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતાં પ્રતિનિધિમંડળે જણાવ્યું હતું કે, સમગ્ર માનવજાતના હિતમાં આતંકવાદનો સફાયો થવો જોઇએ. કેથરિન વેસ્ટે એપ્રિલ મહિનામાં જમ્મુ-કાશ્મીરના પહલગામ ખાતે થયેલા આતંકવાદી હુમલાને ફરી એકવાર વખોડી કાઢ્યો હતો. તેમણે ઇન્ડો-પેસિફિક રિજિયનમાં ભારતના યોગદાનની પણ પ્રશંસા કરી હતી.
પ્રતિનિધિમંડળે જણાવ્યું હતું કે, ભારત પોતે આતંકવાદ સામે બાથ ભીડશે. આતંકવાદ વિશ્વના તમામ દેશો માટે ધમકીરૂપ છે તેથી વિશ્વે તેને નાબૂદ કરવાની જરૂર છે.
કેથરિન વેસ્ટે જણાવ્યું હતું કે, વૈશ્વિક વ્યૂહાત્મક અને આર્થિક મામલાઓમાં ભારત સાથેના સંબંધો યુકેની પ્રાથમિકતા છે. આતંકવાદ સામેની લડાઇમાં યુકે ભારતની સાથે છે અને આતંકવાદીઓને સજા થવી જ જોઇએ. આતંકવાદ નાબૂદ કરવા તમામ દેશોએ સાથે મળીને કામ કરવું જોઇએ.
ત્યારબાદ લંડનમાં ઇન્ડિયા હાઉસ ખાતે પ્રતિનિધિમંડળે યુકે સ્થિત થિન્ક ટેન્કોના પ્રતિનિધિઓ સાથે બંધ બારણે ચર્ચા કરી હતી. જેમાં ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યુટ ફોર સ્ટ્રેટેજિક સ્ટડીઝ, ચાથમ હાઉસ, રોયલ યુનાઇટેડ સર્વિસિઝ ઇન્સ્ટિટ્યુટ, વિલ્ટન પાર્કના પ્રતિનિધિઓ હાજર રહ્યાં હતાં. રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે, યુકેની થિન્ક ટેન્કો સાથેની ચર્ચા અદ્દભૂત રહી હતી.
તેમણે જણાવ્યું હતું કે, અમે અહીં શા માટે આવ્યા છીએ તેની માહિતી આપી હતી. અમે એમ પણ કહ્યું કે અમે પાકિસ્તાન સામે સક્ષમ છીએ અને તેની સામે કાર્યવાહી પણ કરી છે. અમે શાંતિમાં માનીએ છીએ પરંતુ આતંકવાદ સામે અમારી જનતાના જીવનો બચાવવા અમારે પગલાં પણ લેવાં પડે છે. વિશ્વે આતંકવાદના કેન્સરને સમજવાની જરૂર છે.