લંડનઃ બિઝનેસ સેક્રેટરી આલોક શર્માનું કોરોના વાઈરસ માટે ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. જોકે, તેમનો ટેસ્ટ નેગેટિવ આવતા બધાએ નિરાંત અનુભવી હતી. શર્માએ તમામ શુભેચ્છકોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેઓ ૩ જૂન બુધવાર બપોરે હાઉસ ઓફ કોમન્સમાં બોલતી વખતે જ દેખીતી રીતે બીમાર જણાતા હતા. ટેસ્ટિંગ કરાયા વાયા પછી આલોક શર્મા ઘરમાં એકાંતવાસ માટે ચાલ્યા ગયા હતા. આના પરિણામે, પાર્લામેન્ટરી કાર્યવાહી શરુ કરવા બાબતે સાંસદોમાં રોષ ફેલાયો હતો અને સાંસદોને ઘરમાં રહી કામ કરવાની છૂટ આપવા તેમજ વર્ચ્યુઅલ પાર્લામેન્ટ યથાવત રાખવાની માગણી કરાઈ હતી.
બિઝનેસ સેક્રેટરી આલોક શર્માએ કોમન્સની ચેમબરમાં લગભગ એક કલાક હાજર રહી કોર્પોરેટ ઈન્સોલ્વન્સી એન્ડ ગવર્નન્સ બિલ પર રજૂઆતો કરી હતી. તેમને બોલતી વેળાએ ભારે પરસેવો વળ્યો હતો તેમજ બોલવામાં પણ તકલીફ પડતી હતી. તેઓ હાથરુમાલથી વારંવાર ચહેરો અને નાક સાફ કરતા જણાયા હતા. કેટલાક કલાકો પછી રીડિંગ વેસ્ટના સાંસદને કોરોના વાઈરસ માટે પરીક્ષણ કરાયું હોવાની તેમજ તેઓ સેલ્ફ-આઈસોલેશન માટે ઘેર પરત ગયા હોવાનું જણાવાયું હતું જોકે, તેમણે આ અગાઉ વડા પ્રધાન બોરિસ જ્હોન્સન અને ચાન્સેલર રિશિ સુનાક તેમજ ડઝનેક સાંસદો સાથે વાતચીત કરી હતી. આથી, તેઓ જેમના સંપર્કમાં આવ્યા તે તમામને ક્વોરન્ટાઈન થવું પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી.
મંગળવારે સવારે ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે કેબિનેટ બેઠકમાં વ્યક્તિગત હાજરી આપનારા થોડા મિનિસ્ટર્સમાં શર્માનો સમાવેશ થયો હતો. એ જ દિવસે તેમણે કોમન્સમાં ડિવિઝન મતદાનમાં ભાગ લીધો હતો જ્યાં, સેંકડો સભ્યોએ નવાં વિવાદાસ્પદ કામચલાઉ પગલાં બાબતે મતદાન કરવા લાઈનો લગાવી હતી. હાઉસ ઓફ કોમન્સના સત્તાવાળાએ જણાવ્યું હતું કે ચર્ચા પૂર્ણ થયા પછી વધારાની સફાઈ હાથ ધરવામાં આવી હતી.
લેબર પાર્ટીએ શર્માની આ હરકતને હાઉસ ઓફ કોમન્સ માટે જીવલેણ ગણાવી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે શર્માને જાણ હોવા છતાં તેઓ બીજા દિવસે હાઉસમાં આવ્યા હતા. લેબર પાર્ટીના શેડો ફોરેન સેક્રેટરી લિસા નાન્દીએ કહ્યું હતું કે આનાથી દેખાઈ આવે છે કે મહામારી દરમિયાન સાંસદોને કોમન્સમાં બોલાવવાનું પગલું કેટલું વાહિયાત અને બેજવાબદાર છે. સરકારે સાંસદોને ઘેરથી કામ કરતા અટકાવી એવી ઈમારતમાં બોલાવ્યા હતા જ્યાં, સોશિયલ ડિસ્ટન્સિંગ અશક્ય છે. હવે સાંસદો દૂર દૂર પોતાને ઘેર પરત ફરી રહ્યા છે.