વડોદરા: દેશના પૂર્વ વડા પ્રધાન સ્વ. જવાહરલાલ નહેરુના જન્મદિવસે દેશભરમાં ચિલ્ડ્રન ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસે નાગરિકતા વિહોણી ૭ વર્ષની માયશા નઇમ મન્સુરીને ભારતીય નાગરિકત્વ મળ્યું હતું. માયશાના માતા-પિતા ભારતીય નાગરિક છે, પરંતુ રોજગારી માટે તેઓ ઇંગ્લેન્ડ ગયા હતા અને ઇંગ્લેન્ડમાં ટૂંકા ગાળાના વસવાટ દરમિયાન માયશાનો જન્મ થયો હતો. જેથી માયશાને અત્યાર સુધી ઇંગ્લેન્ડ કે ભારતીયની એકપણ નાગરિકતા મળી શકી નહોતી.
નાગરિકત્વથી વંચિત દીકરીને ભારતીય નાગરિકત્વ અપાવવા તેના માતા-પિતાએ વર્ષ ૨૦૧૬માં કાયદા પ્રમાણે અરજી કરી હતી. અતિજેહમતના અંતે બાળદિવસે માયશાને ભારતીય નાગરિકત્વ પ્રદાન થયું હતું. આ અવસરે વડોદરા જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે માયશાને સુખદ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી.