લંડનઃ ભારતમાં બ્રિટિશ સંસ્થાનવાદની સ્થાપના કરનાર ઇસ્ટ ઇન્ડિયા કંપનીના ઇતિહાસમાં બીજીવાર લંડનમાં શટર પડવા જઇ રહ્યાં છે. 1857માં ભારતમાં પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ બાદ 1874માં ઇસ્ટ ઇન્ડિયા કંપનીને વિધિવત રીતે બંધ કરી દેવાઇ હતી. ભારતમાં બ્રિટિશ રાજની સ્થાપનાની સાથે જ 1858માં કંપનીને નાબૂદ કરી દેવાઇ હતી અને તેના સૈનિકોને બ્રિટિશ સેનામાં સમાવી લેવાયા હતા. તે સમયે વ્હાઇટ હોલમાંની ઇન્ડિયા ઓફિસમાંથી ભારતમાં વહીવટ ચલાવાતો હતો. હવે ઇસ્ટ ઇન્ડિયા કંપનીના માલિક અને મુંબઇના બિઝનેસમેન દ્વારા કંપનીની સ્વૈચ્છિક નાદારીની જાહેરાત કરાઇ છે. કંપની પર 1 મિલિયન પાઉન્ડનું દેવુ છે.
કંપનીઝ હાઉસમાં રજૂ કરાયેલી ફાઇલિંગ અનુસાર ઇસ્ટ ઇન્ડિયા કંપની પર તેની પેરેન્ટ કંપની ઇઆઇસી ગ્રુપનું 6,11,279 પાઉન્ડનું દેવુ છે. તે ઉપરાંત સ્ટાફના પગાર પેટે 1,63,105 પાઉન્ડ અને યુકેને ટેક્સ પેટે 1,93,789 પાઉન્ડ ચૂકવવાના બાકી છે. હાલ કંપની પાસે ફક્ત 60.39 પાઉન્ડની જ સંપત્તિ છે.
ઇઆઇસી ગ્રુપના સીઇઓ સંજીવ મહેન્દ્ર મેહતાએ 2005માં ઇસ્ટ ઇન્ડિયા કંપનીના રાઇટ્સ અને સંપત્તિ ખરીદ્યાં હતાં. 2010માં 10 મિલિયન પાઉન્ડના રોકાણ બાદ કંપની લક્ઝરી લાઇફ સ્ટાઇલ બ્રાન્ડ્સ, એશિયન ફૂડ, ચ્હા, ચોકલેટ, જ્વેલરી, કોઇન્સ અને હોમવેરનો બિઝનેસ કરી રહી હતી. મુંબઇના ગુજરાતી જૈન પરિવારમાં જન્મેલા મેહતા બ્રિટિશ નાગરિક છે અને હીરાનો વેપાર કરે છે.


