લંડનઃ સ્ટાર્મર સરકારની પ્રસ્તાવિત ઇસ્લામોફોબિયાની વ્યાખ્યા સામે યુકેના હિન્દુ સમુદાયે ચેતવણી આપતાં જણાવ્યું છે કે તેનાથી વાણી સ્વતંત્રતા જોખમાશે અને કાયદેસરની ચર્ચાઓ બંધ થઇ જશે. આ નવી વ્યાખ્યાની સૌથી વધુ અસર લઘુમતી સમુદાયો પર થશે.
હિન્દુ કાઉન્સિલ યુકેએ ચેતવણી આપી છે કે પ્રસ્તાવિત વ્યાખ્યા મુસ્લિમોને નફરત સામે રક્ષણ આપવા અને ધાર્મિક માન્યતાઓની ટીકા વચ્ચોની મહત્વની લક્ષ્મણરેખાને ધુંધળી બનાવી દેશે. નવી વ્યાખ્યાથી ધર્મ, ઇતિહાસ અને વિચારધારા પરની ચર્ચાઓને અન્યાય ગણાશે જેના પગલે વાણી સ્વતંત્રતા જોખમાશે.
કાઉન્સિલે જણાવ્યું હતું કે, સરકારનો પ્રસ્તાવ રેસિઝમ, પસંદગી પ્રમાણેના ગુણ અને અન્યાયની ગુલબાંગો જેવા નબળા પાસાઓ પર આધારિત છે અને આ પાસાઓની યુકેના કાયદાઓમાં કોઇ સ્પષ્ટતા નથી. તેના કારણે ખોટાં અર્થઘટનને આમંત્રણ મળશે.
કાઉન્સિલે જણાવ્યું હતું કે, નવી વ્યાખ્યાના કારણે હિન્દુ અને અન્ય ધાર્મિકસમુદાયોમાં ભયનું વાતાવરણ સર્જાશે. કાઉન્સિલે એવો પણ આરોપ મૂક્યો છે કે વ્યાખ્યા દ્વારા પાછલે બારણે ઇશનિંદા પ્રકારના સંરક્ષણ આપવાનો પ્રયાસ થઇ રહ્યો છે.


