લંડનઃ નેપાળની ભયાનક પૂર હોનારતમાં બ્રિટિશ મનોચિકિત્સક 54 વર્ષીય પ્રવીણ આત્મકુર પણ લાપતા થયા છે. તેમના પત્ની મંજુલા આત્મકુર પતિની શોધમાં નેપાળ પહોંચ્યા છે. આ દંપતી એનએચએસમાં સાયકિયાટ્રિક કન્સલ્ટન્ટ તરીકે સેવાઓ આપે છે. પ્રવીણ આત્મકુર તિબેટના માઉન્ટ કૈલાશ ખાતે 77 યાત્રાળુઓના જૂથનું નેતૃત્વ કરી રહ્યા હતા ત્યારે આ આફત ત્રાટકી હતી.
મંજુલા આત્મકુરે જણાવ્યું હતું કે, હોનારત બાદ બ્રિટિશ સરકાર તરફથી યોગ્ય પ્રતિસાદ ન મળતાં તેમનો પરિવાર નિરાશ થયો છે. હું અહીં માત્ર એક જ હેતુ સાથે આવી છું કે મારે પ્રવીણને જીવંત ઘરે પાછા લઈ જવા છે. સત્તાવાળાઓ દ્વારા અમને કોઈ માહિતી આપવામાં આવી નથી. ચીન માહિતી શેયર કરે તેની જ રાહ જોવાઈ રહી છે.
પ્રવીણ આત્મકુર દક્ષિણ ભારતમાં જન્મેલા છે અને બાદમાં યુકે સ્થાયી થયા હતા. તેઓ છેલ્લા એક દાયકાથી વધુ સમયથી 'ઈશા ફાઉન્ડેશન' સાથે સ્વયંસેવક તરીકે જોડાયેલા છે અને 15મી વખત આ યાત્રાનું નેતૃત્વ કરી રહ્યા હતા. તેમના જૂથમાં 19 દેશોના લોકો સામેલ હતા, જેમાં 9 બ્રિટિશ નાગરિકોનો પણ સમાવેશ થાય છે.


