લંડનઃ એનએચએસ દ્વારા લોકલ ફાર્મસીઓને અપાતું ભંડોળ ઘટાડી દેવાતાં દર્દીઓને વિનામૂલ્યે અપાતી કોવિડ અને ફ્લૂની રસીઓ પર જોખમ સર્જાયું છે. જો સરકાર આ દિશામાં પગલાં નહીં લે તો મેડિસિન ડિલિવરી સહિતની સેવાઓમાં કાપ મૂકવાની ફાર્મસીઓએ ચેતવણી ઉચ્ચારી છે.
ઘણી ફાર્મસીઓ દવાઓની ડિલિવરીનો ખર્ચ અને એનએચએસ દ્વારા અપાતા વળતર વચ્ચેની ખાધ પૂરી કરવામાં હજારો પાઉન્ડ ગુમાવી રહી છે. એસ્પિરિન જેવી દરરોજ લેવી પડતી દવાઓમાં આ ખાધ 80 ટકા સુધી પહોંચી રહી છે. ફાર્મસીઓએ ચેતવણી આપી છે કે અમે બિઝનેસ બંધ થવાના જોખમનો સામનો કરી રહ્યાં છીએ.
એસેક્સમાં ફાર્મસી ચલાવતા વિશાલ પટ્ટણીએ જણાવ્યું હતું કે, સ્થિતિ અત્યંત ગંભીર છે. અમે ખોટ ખાઇને દવાઓનું વેચાણ કરી રહ્યાં છીએ. અમે અમારા પોતાના ખિસ્સામાંથી સરકારને મદદ કરી રહ્યાં છીએ.
ખોટને ઘટાડવા માટે દર છમાંથી એક એટલે કે અંદાજિત 1600 ફાર્મસીએ વીકએન્ડમાં કલાકો ઘટાડી દીધાં છે અને 8 ટકા ફાર્મસીઓએ તો શનિવાર અને રવિવારે રજા રાખવાનું પસંદ કર્યું છે. નોર્થ ઇસ્ટ લંડન કોમ્યુનિટી ફાર્મસીના સીઇઓ શિલ્પા શાહે જણાવ્યું હતું કે, વધુને વધુ ફાર્મસી શનિવારે કામના કલાકોમાં ઘટાડો કરી રહી છે.

