એમએફએસના પરેશ રાજાના દુબઇ છોડવા પરનો પ્રતિબંધ હટાવાયો

એમએફએસમાં 1.3 બિલિયન પાઉન્ડની ગેરરિતીના પરેશ રાજા પર આરોપ

Tuesday 30th June 2026 11:29 EDT
 

લંડનઃ મેફેર સ્થિત માર્કેટ ફાઇનાન્સિયલ સોલ્યુશન્સ (MFS) કંપનીમાંથી અંદાજે 1.3 બિલિયન પાઉન્ડની ગેરરિતીના આરોપી પરેશ રાજાના દુબઇ છોડવા પરનો પ્રતિબંધ હટાવી લેવાતાં તેમને મોટી રાહત મળી છે. કંપનીના એડમિનિસટ્રેટર દ્વારા વૈશ્વિક સ્તરે સંપત્તિ ફ્રીઝ કરવાનો આદેશ અને ટ્રાવેલ બેન મેળવવામાં આવ્યા બાદ રાજાને દુબઈમાં જ રહેવાની ફરજ પડી હતી. હાલમાં પણ અમલમાં રહેલા આ ફ્રીઝિંગ ઓર્ડરની શરતો મુજબ પરેશ રાજા મંજૂરી વિના અઠવાડિયે 5,000 પાઉન્ડથી વધુનો ખર્ચ કરી શકતા નથી અને 10,000 પાઉન્ડથી વધુ મૂલ્યની પોતાની તમામ સંપત્તિની વિગતો આપવી અનિવાર્ય છે.

લંડનની હાઈકોર્ટમાં પરેશ રાજા વિરુદ્ધ દાખલ કરાયેલા મુકદ્દમામાં, લેણદારો વતી કાર્યરત MFSના વહીવટકર્તાઓએ આક્ષેપ કર્યો છે કે, જે વ્યક્તિને કરોડો પાઉન્ડના પ્રોપર્ટી ફાઇનાન્સ બિઝનેસને આગળ ધપાવવાની જવાબદારી સોંપવામાં આવી હતી તે જ વ્યક્તિ દ્વારા આ સંસ્થાની પદ્ધતિસરની લૂંટ ચલાવવામાં આવી છે.

બીજી તરફ પરેશ રાજાએ વહીવટકર્તાઓ દ્વારા કોર્ટમાં કરાયેલા તમામ આક્ષેપોને સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે. ટ્રાવેલ બેન હટાવવાના મુદ્દે રાજાના પ્રવક્તાએ કોઈપણ ટિપ્પણી કરવાનો ઈન્કાર કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter