લંડનઃ અમદાવાદ ખાતે એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થવાની દુર્ઘટના પર હજુ સુધી તપાસકર્તાઓ દ્વારા કોઇ સચોટ કારણો દર્શાવતો રિપોર્ટ જારી કરાયો નથી ત્યારે પીડિત પરિવારો સવાલોના જવાબની રાહ જોઇ રહ્યાં છે. સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે તપાસકર્તા એજન્સીઓ પ્રથમ વરસી પહેલાં તપાસ રિપોર્ટ જારી કરે.
આંતરરાષ્ટ્રીય નિયમો અનુસાર વિમાન અકસ્માત બાદ તપાસ એજન્સીઓએ એક વર્ષની અંદર પોતાનો આખરી અહેવાલ સુપ્રત કરવાનો હોય છે, જેમાં અકસ્માતનું સંભવિત કારણ અને ભવિષ્યમાં આવી ઘટનાઓ રોકવા માટેની ભલામણો હોય છે. જો આખરી રિપોર્ટ તૈયાર ન હોય તો વચગાળાનો અહેવાલ જારી કરવો અનિવાર્ય છે.
એર ઈન્ડિયાની ફ્લાઈટ સાથે તે દિવસે શું ખોટું થયું હતું તે અંગે હજુ પણ ઘણા પ્રશ્નોના જવાબ મળ્યા નથી. બ્રિટન અને અમેરિકાની અદાલતોમાં એરલાઇન અને ઉત્પાદક કંપની બોઈંગ વિરુદ્ધ કાનૂની કેસ ચાલી રહ્યા હોવાથી પીડિત પરિવારો આ રિપોર્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
અકસ્માતના 30 દિવસની અંદર ભારતીય સત્તાવાળાઓએ પ્રાથમિક અહેવાલ જાહેર કરી દીધો હતો. જોકે પ્રથમ વરસી પર અંતિમ અહેવાલ આવશે કે કેમ તે અંગે સત્તાવાર પુષ્ટિ થઈ નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર તપાસ અત્યંત જટિલ હોવાથી હાલ પૂરતો માત્ર વચગાળાનો રિપોર્ટ જ જાહેર કરવામાં આવે તેવી શક્યતા વધુ છે.
પ્રાથમિક અહેવાલમાં રજૂ કરાયેલા તારણો
1 ટેક-ઓફ થયાની ત્રણ સેકન્ડ બાદ જ વિમાનના બંને ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ અચાનક 'રન' માંથી 'કટઓફ' મોડ પર આવી ગયા હતા, જેના કારણે એન્જિનમાં બળતણ પુરવઠો બંધ થઈ ગયો હતો.
2 આ સ્વીચો 10 સેકન્ડ પછી ફરી 'રન' મોડ પર આવ્યા ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું અને પાઇલટે 'મે ડે' કોલ મોકલવો પડ્યો હતો.
3 કોકપિટ વૉઇસ રેકોર્ડર અનુસાર એક પાઇલટે બીજાને પૂછ્યું હતું કે તેમણે ફ્યુઅલ સપ્લાય કેમ બંધ કર્યો, જેના જવાબમાં બીજા પાઇલટે નનૈયો ભણ્યો હતો. ત્યારબાદ વિમાન હોસ્ટેલ બિલ્ડિંગ પર ખાબક્યું.

