લંડનઃ એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-171 દુર્ઘટનાને એક વર્ષ થવા આવ્યું છતાં પીડિત પરિવારો હજુ પણ ન્યાય અને સાચા કારણોની શોધમાં ભટકી રહ્યા છે. ગત વર્ષે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઉડાન ભર્યા બાદ તુરંત જ દુર્ઘટનાગ્રસ્ત થયેલા આ વિમાન મામલે હવે બ્રિટિશ તપાસ એજન્સીએ પણ પોતાના હાથ ઊંચા કરી દીધાં છે. બ્રિટિશ નાગરિકોના પરિવારોએ યુકેની એર એક્સિડન્ટ ઈન્વેસ્ટિગેશન બ્રાન્ચ પાસે ટેકનિકલ રિવ્યુની માગ કરી હતી પરંતુ એજન્સીએ પત્ર લખીને જણાવ્યું છે કે આ મામલે તેમની પાસે કોઈ ટેકનિકલ તપાસ કરવાની સત્તા નથી.
બ્રિટિશ એજન્સીના પ્રિન્સિપાલ ઈન્સ્પેક્ટર ગેરેન્ટ હર્બર્ટે પરિવારોને પાઠવેલા પત્રમાં સ્પષ્ટતા કરી છે કે, આ તપાસનું નેતૃત્વ ભારતની તપાસ એજન્સી કરી રહી છે અને યુકે તેમાં માત્ર એક એક્સપર્ટ તરીકે સામેલ છે. આંતરરાષ્ટ્રીય નિયમો મુજબ, યુકેના નાગરિકોએ જીવ ગુમાવ્યા હોવાથી તેમને ઘટનાસ્થળની મુલાકાત લેવાનો અને ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલ ફેક્ટ્સ મેળવવાનો જ અધિકાર છે. તપાસના ટેકનિકલ પાસાઓ પર બ્રિટનનો કોઈ સીધો હસ્તક્ષેપ નથી.
ઉલ્લેખનીય છે કે 12 જૂનના રોજ લંડન ગેટવિક જઈ રહેલું એર ઈન્ડિયાનું બોઈંગ 787 ડ્રીમલાઈનર અમદાવાદ એરપોર્ટ પરથી ટેક-ઓફ થયા બાદ થોડી જ મિનિટોમાં ક્રેશ થયું હતું. આ ભયાનક દુર્ઘટનામાં 53 બ્રિટિશ નાગરિકો સહિત કુલ 260 મુસાફરો અને જમીન પર રહેલા 19 લોકોના કરુણ મોત નિપજ્યા હતા.


