લંડનઃ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાની પ્રથમ વરસી નિમિત્તે લેસ્ટરમાં એક વિશેષ શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરાયું છે. પ્લેન ક્રેશના તમામ મૃતકોની સ્મૃતિમાં 13 જૂનના રોજ મેલ્ટન રોડ પર આવેલા શ્રી હનુમાન મંદિરમાં એક વિશેષ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. મૃતકોમાંથી ઘણા લોકો લેસ્ટર સાથે ગાઢ કૌટુંબિક સંબંધો ધરાવતા હતા. મંદિરના સેક્રેટરી રાજેશ પટેલે જણાવ્યું હતું કે, આ સ્મરણ સભા આપણા સમુદાયને એકસાથે આવવા, દિવંગતો માટે પ્રાર્થના કરવા અને શોકગ્રસ્ત પરિવારો તેમજ મિત્રોને હિંમત અને સાંત્વના આપવાની એક તક પૂરી પાડે છે. આ દુર્ઘટનાની આપણા સમુદાય પર ઊંડી અસર પડી છે. આ સભામાં પ્રાર્થના, પાઠ, દીપ પ્રાગટ્ય અને મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે.

