લંડનઃ અમદાવાદમાં પ્લેન ક્રેશના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા લંડનમાં ભારતીય હાઇ કમિશન ખાતે શોકસભાનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર એન્જેલા રેયનરે જણાવ્યું હતું કે, યુકે અને ભારત એકબીજાથી ઘણે દૂર સ્થિત દેશ છે પરંતુ બંને દેશ અત્યંત નિકટ છે. આજે આપણે આ બંધનને સરળ રીતે નિભાવીએ છીએ, આપણે સાથે શોક મનાવી રહ્યાં છીએ. યુકે તમારી સાથે છે અને તમને સહકાર આપતો રહેશે.
યુકે સ્થિત ભારતીય હાઇ કમિશ્નર વિક્રમ દોરાઇસ્વામીએ યુકેના સહકાર માટે આભાર માનતાં જણાવ્યું હતું કે, આપણે 271 જિંદગીઓ અને તેમના પરિવારજનો સાથે શોક મનાવી રહ્યાં છીએ. આ દુર્ઘટનાના કારણે સંખ્યાબંધ જીવનો પર અસર થઇ છે. તેની કલ્પના કરવી મુશ્કેલ છે. આપણે ફક્ત તેમને દિલાસો આપી શકીએ છીએ.
બીજીતરફ સંસદમાં ફોરેન ઓફિસ મિનિસ્ટર હમિશ ફાલ્કનરે જણાવ્યું હતું કે, બ્રિટનમાં બે મિલિયન ભારતીય સમુદાયના લોકો છે. તેમાં ગુજરાતી સમાજ પ્રભાવશાળી છે. આપણે આ દુર્ઘટનાની વેદના એકસાથે અનુભવી રહ્યાં છીએ. આ આપણા લોકો વચ્ચેના ગાઢ સંબંધો જ નહીં પરંતુ ભારત સાથેની ભાગીદારીની શક્તિ પણ છે.
શેડો ફોરેન મિનિસ્ટર પ્રીતિ પટેલે જણાવ્યું હતું કે, ગયો ગુરુવાર ભારત અને યુકે માટે અંધકારમય, વેદનાસભર અને ભયાવહ હતો. આપણે તમામ અસરગ્રસ્તોની સાથે છીએ અને તેમને સહકાર આપવા કામ કરી રહ્યાં છે.