હેડિંગઃ એસેક્સ સ્થિત રેડિયો કેરોલિને ગત મંગળવારે બપોરે કિંગ ચાર્લ્સના નિધનની જાહેરાત કરતાં સમગ્ર દેશમાં ખળબળાટ મચી ગયો હતો. જો કે હકીકત એ હતી કે કિંગ ચાર્લ્સ સંપૂર્ણપણે જીવિત અને સ્વસ્થ હતા અને ઉત્તર આયર્લેન્ડમાં લોકો સાથે મુલાકાત કરી રહ્યા હતા.
રેડિયો કેરોલિન પર ચાલી રહેલા સામાન્ય કાર્યક્રમને અટકાવીને અચાનક એક ગંભીર સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. શ્રોતાઓને જણાવવામાં આવ્યું હતું કે, કિંગ ચાર્લ્સ તૃતીયના અવસાનને કારણે સામાન્ય પ્રસારણ રોકી દેવામાં આવ્યું છે. આ જાહેરાત બાદ તરત જ સ્ટેશન પર રાષ્ટ્રગીત ગોડ સેવ ધ કિંગ વગાડવામાં આવ્યું અને ત્યારબાદ લગભગ 15 મિનિટ સુધી સંપૂર્ણ શાંતિ છવાઈ ગઈ હતી. આ લાંબી શાંતિએ શ્રોતાઓમાં ભારે ફફડાટ ફેલાવ્યો હતો. લોકોને લાગ્યું હતું કે દેશમાં કોઈ બંધારણીય કટોકટી સર્જાઈ છે.
રેડિયો કેરોલિને જણાવ્યું હતું કે, સમગ્ર વિવાદ રેડિયો સ્ટેશનમાં આવેલી એક ટેકનિકલ ખામીને કારણે સર્જાયો હતો. રેડિયો કેરોલિનના સ્ટેશન મેનેજર પીટર મૂરે ખુલાસો કર્યો હતો કે કોમ્પ્યુટરની ભૂલને કારણે શાહી પ્રોટોકોલ સિસ્ટમ આપમેળે સક્રિય થઈ ગઈ હતી. ભૂલનો અહેસાસ થતાં જ ટીમે પ્રસારણ સામાન્ય કર્યું હતું અને શ્રોતાઓ તેમજ કિંગ ચાર્લ્સની માફી માંગી હતી.


