ઓટમ બજેટમાં કરવેરામાં વધારો નિશ્ચિત

પ્રીબજેટ સ્પીચમાં ચાન્સેલરનો સંકેતઃ મેનિફેસ્ટોના વચનોનો ભંગ કરવા રેચલ રીવ્ઝ તૈયાર, મારા માટે દેશહિત સર્વોચ્ચ, બ્રિટનના નિર્માણ માટે બધાએ યોગદાન આપવું પડશેઃ રીવ્ઝ

Tuesday 04th November 2025 09:28 EST
 
 

લંડનઃ 26 નવેમ્બરના રોજ ઓટમ બજેટ રજૂ થાય તે પહેલાં પ્રીબજેટ સ્પીચમાં ચાન્સેલર રેચલ રીવ્ઝે સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે આગામી બજેટમાં કરદાતાઓ પર બોજો વધવાનો છે. ચાન્સેલરે તેમની સ્પીચમાં કોઇ ચોક્કસ ટેક્સ વધારા કે ખર્ચના વચનોની જાહેરાત આપવાનું ટાળ્યું હતું પરંતુ સંકેત આપી દીધો હતો કે હું કરવેરા વધારવા માટે ચૂંટણી ઢંઢેરામાં આપેલા વચનો તોડવા તૈયાર છું.

રીવ્ઝે જણાવ્યું હતું કે, જો આપણે બ્રિટનના ભાવિનું નિર્માણ સાથે મળીને કરવું હશે તો આપણે બધાએ યોગદાન આપવું પડશે. આપણામાંના દરેકે દેશની સુરક્ષા અને તેજસ્વી ભવિષ્ય માટે યથાશક્તિ યોગદાન આપવું પડશે.

લેબર પાર્ટીના ચૂંટણી ઢંઢેરામાં આવકવેરા, નેશનલ ઇન્શ્યુરન્સ અથવા વેટમાં વધારો નહીં કરવા અપાયેલા વચનો અંગેના સવાલના જવાબમાં ચાન્સેલરે જણાવ્યું હતું કે ચાન્સેલર તરીકે મારે વિશ્વનો સામનો કરવાનો છે અને આ વિશ્વ મારી ઇચ્છા અનુસારનું નથી. જ્યારે આપણી સામે પડકારો આવે છે ત્યારે સવાલ એટલો જ હોય છે કે આપણે તેનો કેવી રીતે સામનો કરીશું. કરીશું કે નહીં. 26 નવેમ્બરે રજૂ થનારા બજેટમાં મારું ધ્યાન મુખ્યત્વે એનએચએસમાં વેઇટિંગ લિસ્ટ ઘટાડવા, મોંઘવારી ઘટાડવા અને દેશનું દેવું ઘટાડવા પર કેન્દ્રિત રહેશે.

ચાન્સેલરે જણાવ્યું હતું કે, સરકાર રાજનીતિને બાજુ પર મૂકીને દેશના હિતમાં કામ કરશે. કરવેરા વધારીને શું તમે આગામી ચૂંટણી હારવા માગો છો તેવા સવાલના જવાબમાં રીવ્ઝે જણાવ્યું હતું કે, હું જે યોગ્ય છે તે જ કરીશ. છેલ્લા 14 વર્ષથી દેશ હિત કરતાં રાજનીતિને વધુ પ્રાધાન્ય અપાતું હતું. તેના કારણે આપણે અંધાધૂંધીમાં સપડાયાં છીએ. હું બ્રિટિશ અર્થતંત્રની સામે રહેલા પડકારોનો સામનો કરવા ઇચ્છું છું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter