લંડનઃ યુકે પહોંચેલા ભારતીય પ્રતિનિધિમંડળના ભાજપ સાંસદ રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે, પાકિસ્તાન દ્વારા સરહદ પારથી આતંકવાદને પ્રોત્સાહન અપાય છે ત્યારે આજે પણ મહાત્મા ગાંધીનો અહિંસાનો સિદ્ધાંત વધુ મહત્વનો છે. ભારતીય પ્રતિનિધિમંડળે મહાત્મા ગાંધી અને બી આર આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
તાવિસ્તોક સ્ક્વેર ખાતેના ગાંધી મેમોરિયલમાં પત્રકારોને પ્રસાદે જણાવ્યું હતું કે, લંડનના કેન્દ્રમાં મહાત્મા ગાંધીની પ્રતિમા અમારા માટે ગૌરવનો વિષય છે. મહાત્મા ગાંધીના સિદ્ધાંતો આજે પણ મહત્વના છે.
પૂર્વ કેન્દ્રિય મંત્રી એમ જે અકબરે જણાવ્યું હતું કે, પાકિસ્તાને તેની આતંકવાદની નીતિ અંતર્ગત સૌથી પહેલાં ઓક્ટોબર 1947માં 5000 આતંકવાદીઓને કાશ્મીરમાં મોકલ્યા હતા. ભારતીય સેનાની ફરજ આતંકવાદને કચડી નાખવાની છે.
આ પહેલાં પ્રતિનિધિમંડળે લંડનમાં આંબેડકર મ્યુઝિયમની પણ મુલાકાત લીધી હતી. સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ જણાવ્યું હતું કે, બાબાસાહેબે આપણને બંધારણ આપ્યું છે અને આપણે તેના થકી જીવી રહ્યાં છે.
ભારતના ડેપ્યુટી નેશનલ સિક્યુરિટી એડવાઇઝર પંકજ સરને જણાવ્યું હતું કે, ઓપરેશન સિંદુર ભારતના વડાપ્રધાન અને સરકારનો રાજકીય નિર્દેશ હતો અને તે 100 ટકા સફળ રહ્યું હતું.
બ્રિટન ખાતેના ભારતીય હાઇ કમિશ્નર વિક્રમ દોરાઇસ્વામીએ જણાવ્યું હતું કે, આતંકવાદ ફક્ત ભારત પુરતી સમસ્યા નથી પરંતુ તેને વૈશ્વિક સમસ્યા ગણવી જોઇએ. આ એક વૈશ્વિક વાસ્તવિકતા છે. ભારતીયોએ આતંકવાદી હુમલાઓની સાથે જીવતા શીખી લેવું જોઇએ તેમ માની લેવું ગંભીર ભૂલ છે. વિશ્વ આતંકવાદને ગંભીરતાથી લે તેનો સમય આવી ગયો છે.