લંડનઃ કંપનીઝ હાઉસ દ્વારા ઓળખચોરી અને મનીલોન્ડરિંગને ડામવા સહિતના સુધારાઓ જાહેર કરાયા હતા. કંપનીના ડાયરેક્ટર્સની નિયુક્તિ માટે ઓળખની ફરજિયાત ચકાસણી એટલે કે આઈડેન્ટીટી વેરિફિકેશનના પરિણામે ગુનેગારોને બચવાનો કોઈ અવકાશ રહેશે નહિ જેથી, ફ્રોડ અને મની લોન્ડરિંગને ડામવામાં મદદ મળશે.
BEIS's ના મિનિસ્ટર ફોર કોર્પોરેટ રિસ્પોન્સિબિલિટી લોર્ડ માર્ટિન કેલેનને જણાવ્યું હતું કે બિઝનેસીસમાં કરાયેલા સુધારા તેમના વ્યવહારોમાં વિશ્વાસને વધુ મજબૂત બનાવશે. તેમણે ઉમેર્યું કે લોકો તેમના નાણાકીય લાભ માટે યુકેના માર્કેટમાં ગોટાળા કરી શકે નહિ તે સુનિશ્ચિત કરવાની સાથે મોટાભાગના લોકો માટે કંપનીની રચના અને સંચાલનની પ્રક્રિયા ખૂબ ઝડપી અને સરળ રહે તે સુનિશ્ચિત કરવામાં આવશે.
કંપનીઝ હાઉસના ચીફ એક્ઝિક્યુટિવ લુઈસ સ્મિથે જણાવ્યું હતું કે સુધારાના પેકેજમાં મહત્ત્વના અને લાંબાગાળાના સુધારા સામેલ છે. માત્ર બિઝનેસીસ માટે જ નહિ, લો એન્ફોર્સમેન્ટ માટે અમારો ડેટા કેટલો મૂલ્યવાન છે તે અમે જ જાણીએ છીએ અને આ સુધારાથી હજુ તેનું મૂલ્ય વધશે. કંપની હાઉસને આધુનિક બનાવવાની અમારી યોજનાના કેન્દ્રમાં યુકેના અર્થતંત્રમાં વિશ્વાસ સંચાર કરવાનો હેતુ છે. સરકારની અપેક્ષાને સાકાર કરવા માટે અમારી પાસે વિસ્તૃત રૂપાંતરણની યોજના છે.
કંપનીઝ હાઉસ દ્વારા જણાવાયું હતું કે ડાયરેક્ટરો માટે સૂચિત આઈડેન્ટિટી વેરિફિકેશન ઝડપી, અસરકારક અને ડિજિટલ પ્રક્રિયા દ્વારા હાથ ધરાશે, જે ગણતરીની મિનિટોમાં પૂરી કરાશે તેવી અપેક્ષા છે. કંપનીની રચના સરળતાપૂર્વક ૨૪ કલાકની અંદર જ થશે. કંપનીઝ હાઉસ દ્વારા જણાવાયું કે ડેટા દ્વારા બિઝનેસીસ વચ્ચે થયેલા ઘણાં વ્યવહારોની અને ધીરાણના નિર્ણયોની વિગતો મળી હતી.

