કપરા સમયમાં કોમ્યુનિટી સહુની સાથે

- રુપાંજના દત્તા Wednesday 18th March 2020 07:03 EDT
 

લંડનઃ એક જાણીતી અંગ્રેજી કહેવત છે કે સંઘર્ષમાં એ જ ટકી શકે જે સામનો કરે. સરકારે કોરોના વાઇરસનો પ્રસાર અટકાવવા માટે તાળાબંધી જાહેર કરી છે જેને પગલે દેશમાં ચારેતરફ અફરાતફરીનો માહોલ સર્જાયો છે. લોકો જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે પડાપડી કરી રહ્યાં છે. વસ્તુઓ માટે લોકો વચ્ચે થતાં ઘર્ષણના વીડિયો વાયરલ થઇ રહ્યાં છે. પરિસ્થિતિ બદલ નાગરિકોમાં વડાપ્રધાન બોરિસ જ્હોન્સન સામે આક્રોશ વ્યાપ્યો છે. જેમને જરૂર છે તેમને વસ્તુઓ મળતી નથી અને બીજા લોકો મોટા પ્રમાણમાં ખરીદી કરી રહ્યાં છે. વસ્તુઓની ઊંચી કિંમતોને લઇને પણ નારાજગી છે. કોરોનાના કહેર વચ્ચે વિરોધાભાસી ચિત્રો ઉપસી રહ્યાં છે. જ્યાં વસ્તુઓ માટે પડાપડી થઇ રહી છે તો ક્યાંક લોકો એકબીજાને મદદ પણ કરી રહ્યાં છે. આવી સ્થિતિ વચ્ચે પણ અનેક સ્થળોએ લોકોએ સ્થાનિક સ્તરે જુદા જુદા જૂથ બનાવ્યા છે. જેથી સેલ્ફ આઇસોલેશનમાં રહેનારા અને ખાસ કરીને વૃદ્ધોને ગ્રોસરી અને અખબાર સહિતની વસ્તુઓ સમયસર મળી રહે. તેઓ એકબીજાને મળીને વાતચીત પણ કરી રહ્યાં છે. ભય વચ્ચે પણ કોરોના વાઇરસથી લોકોમાં ભાઈચારાનું પ્રમાણ વધ્યું છે. એકલવાયું જીવન જીવનારાઓને નવા મિત્રો પણ મળ્યા છે.

લોર્ડ રેમી રેન્જર દ્વારા એક વાઇરલ વીડિયો શેર કરાયો હતો જેમાં એક મોટી વયની મુસ્લિમ વ્યક્તિ ટ્રોલી ભરીને ચોખાની થેલીઓ લઇ જતી જોવા મળે છે અને બાકીના લોકો વસ્તુઓ માટે ગભરાટમાં ફરી રહ્યાં છે. તેમણે પગલાં લેવા માંગણી કરી છે.
લંડનમાં અભ્યાસ કરતાં પોતાના પુત્રને મળવા આવેલી મૈત્રેયી ઘોષે આક્રોશ સાથે જણાવ્યું હતું કે ‘હું એક સ્થાનિક સુપરસ્ટોરમાં ખાવાની જરૂરી વસ્તુઓ લેવા ગઇ હતી. મારો પુત્ર અહીં લંડનમાં ભણવા માટે એક નાનકડા રૂમમાં રહે છે. વધારે પ્રમાણમાં વસ્તુઓ રાખવા તેની પાસે જગ્યા જ નથી. બીજા દિવસે હું સુપરસ્ટોરમાં ગઇ તો બધા ખાના ખાલી જોવા મળ્યા. હું નજીકના બીજા સ્ટોરમાં પહોંચી તો વસ્તુઓ પર ઉંચા ભાવ લખેલા હતા. લોકો કિંમત માટે દલીલો કરી રહ્યાં હતાં પણ ત્યાં કોઇને કશું ફરક પડે તેમ ન હતું.’
ઈલિંગથી ખાસ દૂર નહિ રહેતા વરુણ મહેતાએ જણાવ્યું હતું કે,‘બધી દુકાનો દેવદૂતની કામગીરી બજાવતી નથી. વયોવૃદ્ધ અને સેલ્ફ આઈસોલેટેડ લોકોને મદદ કરવાનું બાજુ રહ્યું, તેઓ નાના હેન્ડ સેનિટાઈઝર્સ ૧૦ પાઉન્ડમાં તેમજ નવ પાઉન્ડની કિંમતના ૨૫ કિલોના ચપાટી આટાને ૨૫ પાઉન્ડના ઊંચા ઊવમાં વેચે છે. ઓછી આવક ધરાવતા લોકો કેવી રીતે જીવી શકે?’
જોકે, બધા આવા નિર્દય હોતા નથી. ટ્વિકેનહામ વિસ્તારમાં મીત એન્ડ દીપ ન્યૂઝના ગુજરાતી-ભારતીય મૂળના દીપેન પટેલ (ડી નામથી લોકપ્રિય) પોતાના પેરન્ટ્સ સાથે ધંધાની સંભાળ રાખે છે. ‘ગુજરાત સમાચાર અને-એશિયન વોઈસ’ની સાથે વાતચીતમાં ડી કહે છે કે,‘અમારા ગ્રાહકો નિયમિત હોવાથી અમે કિંમતો વાજબી જ રાખી છે. તેઓ અમને હંમેશા સપોર્ટ કરે છે. જરૂરિયાતના સમયમાં અમે તેમનો ગેરલાભ ઉઠાવવા માગતા નથી.’
ડીના પિતા અને શોપના માલિક શશી પટેલે તેમના ફેસબૂક પેજ પર જાહેર કર્યું છે કે,‘ ટ્વિકનહામ ગ્રીન વિસ્તારમાં કોઈ પણ વયોવૃદ્ધ, ઘરમાં રહેતા કે સેલ્ફ આઈસોલેટેડ લોકોને કોઈ આવશ્યક ચીજવસ્તુની જરૂર હોય તો અમને બૂમ મારવા અથવા ફેસબૂક પર સંદેશો મૂકો તો પણ મારો કોઈ પુત્ર તમને તે સામાન પહોંચાડી દેશે. #MeetAndDeepFamily.’
ડીએ ઉમેર્યું હતું કે,‘અમારા નિયમિત વૃદ્ધ ગ્રાહકો ન્યૂઝપેપર્સ ખરીદવા આવે છે. પરિસ્થિતિના કારણે અમે તેમને મુશ્કેલીમાં મૂકવા માગતા નથી. જો તેઓ અસ્વસ્થ કે સેલ્ફ આઈસોલેટેડ હોય તો અમને ફોન કરી દેશે તો પણ તેમના ઘરઆંગણે ન્યૂઝપેપર્સ પહોંચાડી દઈશું. જો કોઈ વાંચનના શોખીન હોય તો અમારી પાસે પુસ્તકો પણ છે. અમે એકલવાયા લોકો સાથે વાતચીત કરવા પણ તૈયાર છીએ.’
મંદિરો, મસ્જિદો અને ગુરુદ્વારાઓ દ્વારા તમામ મેળાવડા મુલતવી રખાયા છે, કાર્યક્રમો બંધ કરાયા છે અને દર્શનના સમય પણ મર્યાદિત કરી દેવાયા છે ત્યારે ઘણા લોકો તેમની સેવાના ભાગરુપે વંચિત લોકોને અન્નસેવા પૂરી પાડી રહ્યા છે. સ્લાઉમાં ગુરુ માનેયો ગ્રંથ ગુરુદ્વારા ૬૫ કરતાં વધુ વયના વૃદ્ધોને ખોરાક પહોંચાડી રહ્યા છે. તેમના સોશિયલ મીડિયામાં એક જાહેરાત ફરે છે કે,‘ જેઓ કોવિડ-૧૯ના કારણે ઘરમાં રહે છે તેમને ગુરુ માનેયો ગ્રંથ ગુરુદ્વારા ફૂડ સર્વિસ પૂરી પાડે છે. સ્લાઉ કોમ્યુનિટીમાં જરૂરતમંદ લોકોને અમે દરરોજ મફત મોબાઈલ ફૂડ સર્વિસ આપીએ છીએ. આ કપરાં સમયમાં વૃદ્ધોને આરોગ્યપ્રદ અને પોષક ચીજવસ્તુઓ પૂરી પાડીાએ છીએ. જો તમારે ફૂડની ડિલિવરી જોઈતી હોય તો 07960 781799/07492 383057 અને www.GMGGurdwara.com પર સંપર્ક સાધી શકાશે.’
હિન્દુ કાઉન્સિલ યુકે પણ આ કપરા સમયમાં ટ્વીટ કરી પડોશી તરીકે કોમ્યુનિટીને મદદ કરવા https://bit.ly/3d9EnIj ગૂગલ ડોક્યુમેન્ટ થકી રજિસ્ટ્રેશન કરવા જણાવે છે.
ચિગવેલના યુવાન કાઉન્સિલર પ્રણવ ભાનોટે તેમની વિસ્તારને સુરક્ષિત અને સ્વચ્છ રાખવાના પ્રયાસમાં ચિગવેલના જ ક્લીનર્સ, લોયર્સ, ડિલિવરી ડ્રાઈવર્સ અને મેન્ટલ હેલ્થ એક્સપર્ટ્સને સાથે રાખી કોરોના વાઈરસ ગ્રૂપની સ્થાપના કરી છે. રવિવાર ૧૫ માર્ચે ચિગવેલના સ્વયંસેવકોએ સ્થાનિક ટ્યૂબ સ્ટ્શન્સ ( ગ્રેન્જ હિલ અને ચિગવેલ), બસ સ્ટોપ્સ, પબ્લિક પ્લેગ્રાઉન્ડ્સ, પેટ્રોલ સ્ટેશન તેમજ જાહેર ફૂટપાથોની હેન્ડ રેલિંગ્સની સફાઈ અને જીવાણુરહિત કરવાની કામગીરી કરી હતી. આ કેમ્પેઈનમાં તેમણે લગભગ ૩૫૦ પાઉન્ડ એકત્ર પણ કર્યા છે. આ જ ગ્રૂપે વૃદ્ધો અને જરૂરિતમંદ નિવાસીઓ માટે શોપિંગ ડિલિવરી સેવા પણ શરૂ કરી છે. કોરોના વાઈરસથી ચિંતિત કોઈને પણ કાઉન્સેલિંગ અને રોજગારની ચિંતા સામે કાનૂની સલાહ પણ પૂરી પાડી છે. ‘ગુજરાત સમાચાર અને-એશિયન વોઈસ’ની સાથે વાતચીતમાં કાઉન્સિલર ભાનોટે કહ્યું હતું કે,‘ આ પહેલનો હેતુ કોઈ ગભરાટ કે અયોગ્ય ચિંતા ઉભી કરવાનો નથી પણ બને તેટલા રક્ષણાત્મક બનવાનો છે. આ કેમ્પેઈન અન્ય કોમ્યુનિટી જૂથોને કોરોના વાઈરસની અસર ઘટાડવા સક્રિય અભિગમ લેવાની પ્રેરણા આપે તેવી જ આશા છે.’
અન્ય લોકોની માફક ટાવર હેમ્લેટ્સના રહેવાસીઓએ પણ સ્થાનિકોને મદદ કરવા ગ્રૂપ સ્થાપ્યું છે. ટાવર હેમ્લેટ્સના રહેવાસીઓમાં બાંગલાદેશીઓની બહુમતી છે ત્યારે કોરોના વાઈરસ વિશે જાગૃતિ ઉભી કરવા બંગાળીમાં કેમ્પેઈન્સ શરૂ કરેલ છે. ખાસ કરીને સેલ્ફ આઈસોલેશનમાં રહેતા અને જરૂર હોય પરંતુ, અંગ્રેજી બોલી કે વાંચી શકતા ન હોય અને બંગાળી જ જાણતા હોય તેવા લોકોને મદદ કરવા તેઓ આગળ આવ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter