લંડનઃ વડા પ્રધાન બોરિસ જ્હોન્સનના વિશેષ સલાહકાર અને ગાઢ સાથી ડોમિનિક કમિન્સ દ્વારા લોકડાઉન નિયમના ભંગના મુદ્દે ટોરી પાર્ટીમાં યાદવાસ્થળી સર્જાઈ છે. ટોરી પાર્ટીના ડઝનથી વધુ સાંસદોએ કમિન્સની હકાલપટ્ટી કે તેમના રાજીનામાંની માંગણી કરી છે. ત્યારે ઘણા સાંસદો આ માગણીને વડા પ્રધાનમાં અવિશ્વાસ તરીકે ઓળખાવી રહ્યા છે. બીજી તરફ, કન્ઝર્વેટિવ પાર્ટીની લોકપ્રિયતામાં એક દશકામાં ન જોવાયો હોય તેવો ઘટાડો જોવા મળ્યો છે.
વડા પ્રધાન જ્હોન્સન તેમના સલાહકાર ડોમિનિક કમિન્સના વિવાદમાંથી આગળ વધી જવા ઈચ્છે છે પરંતુ, ટોરી પાર્ટીના કેટલાક સાંસદો કમિન્સની હકાલપટ્ટી અથવા રાજીનામાની માગણી કરી રહ્યા છે. પુર્વ હેલ્થ સેક્રેટરી જેરેમી હન્ટે તો કમિન્સે લોકડાઉન નિયમોનો સ્પષ્ટ ભંગ કર્યો હોવાનું ભારપૂર્વક કહ્યું છે. અંડર સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર સ્કોટલેન્ડ ડગ્લાસ રોસે તો વિરોધમાં રાજીનામું પણ આપી દીધું છે. ટોરી પાર્ટીના ડઝનથી વધુ સાંસદો પણ કમિન્સના રાજીનામાની વિપક્ષી રાજકારણીઓની માગણીમાં જોડાયા છે. જોકે, વડા પ્રધાને આવી માગણી ફગાવી દીધી છે. વરિષ્ઠ મિનિસ્ટર્સે જાહેરમાં તો કમિન્સને સપોર્ટ કર્યો છે પરંતુ, ખાનગીમાં તેઓ નારાજ છે. હાઉસિંગ સેક્રેટરી રોબર્ટ જેનરિકે જણાવ્યું હતું કે જો અન્ય વિકલ્પ ન હોય અને લોકો ચાઈલ્ડકેર મેળવી ન શકે તો તેમને પણ કમિન્સે જે કર્યું તેમ કરવાનો અધિકાર છે.
ટોરી પાર્ટીની લોકપ્રિયતામાં ભારે ઘટાડો
બીજી તરફ, ટોરી પાર્ટીની ચૂંટણી લોકપ્રિયતાની સરસાઈમાં માત્ર એક સપ્તાહમાં ૯ પોઈન્ટનો જોરદાર ઘટાડો નોંધાયો છે જે એક દાયકામાં સૌથી મોટો ઘટાડો છે. ધ ટાઈમ્સ માટે YouGov દ્વારા કરાયેલા સર્વે અનુસાર આ વિવાદમાં ટોરી પાર્ટીનું રેટિંગ ચાર પોઈન્ટ ઘટ્યું છે જ્યારે લબર પાર્ટીનું રેટિંગ પાંચ પોઈન્ટ ઊંચુ ગયું છે. JL Partners દ્વારા અન્ય એક સર્વેમાં ૫૫ ટકા ટોરી મતદારો સહિત કુલ ૬૬ ટકાએ લોકડાઉનમાં પ્રવાસ કરી નિયમભંગ બદલ કમિન્સે રાજીનામું આપવું જોઈએ તેવો મત દર્શાવ્યો હતો. આ ઉપરાંત, વડા પ્રધાન જ્હોન્સને તેમના ખાસ સલાહકારની હકાલપટ્ટી કરવી જોઈએ તેમ કહેનારામાં કુલ ૬૩ ટકામાંથી કુલ કન્ઝર્વેટિવ સમર્થકોમાંથી ૫૩ ટકાનો પણ સમાવેશ થાય છે. સૌથી મહત્ત્વની બાબત એ છે કે ૮૦ ટકા લોકો અને કન્ઝર્વેટિવ પાર્ટીના સમર્થકોના લગભગ ૭૫ ટકાએ લોકડાઉન નિયમો ઘડવામાં મહત્ત્વની ભૂમિકા ધરાવતા કમિન્સે જ તેનો ભંગ કર્યો હોવાનું જણાવ્યું છે.
મમ્સનેટના ૯૬૫ વપરાશકારના સર્વેમાં ૮૧ ટકા પેરન્ટ્સે તેઓએ લોકડાઉનના ગાળામાં ઈમર્જન્સી ચાઈલ્ડકેર માટે પણ આવો પ્રવાસ કર્યો ન હોત તેમ જણાવ્યું હતું. ૨૩ ટકાએ જણાવ્યું હતું કે નાના બાળકની સંભાળ લેતા સમયે એક પેરન્ટ બીમાર હોય અને બીજાને બીમારી લાગવાની શંકા હોય તો પણ તેમણે ઈમર્જન્સીમાં સાથ આપવા પ્રવાસ ખેડ્યો ન હતો. લગભગ ૭૫ ટકાએ જણાવ્યું હતું કે તેમના સંજોગો પણ કમિન્સ જેવા હતા પરંતુ, તેઓ ઘરે જ રહ્યા હતા.