લંડન, બારડોલીઃ મૂળ બારડોલીના કવિ, લેખક, પત્રકાર દીપક બારડોલીકરે લંડનમાં અંતિમ શ્વાસ લીધા હતા. ‘ગુર્જરીનો કવિ છું હું ‘દીપક’, હું નથી એક દેશનો માણસ!’ થી વધુ પ્રખ્યાત બારડોલીકરે ત્રણ ત્રણ દેશોમાં ગુજરાતી સાહિત્યને એક નવી ઊંચાઈ પર પહોંચાડ્યું હતું. તેમણે ગુજરાતી સાહિત્યને અનેક ઉત્તમ કાવ્યસંગ્રહો, ગઝલસંગ્રહો, નવલકથા અને સંપાદનો આપ્યા છે. વયોવૃદ્ધ બારડોલીકર કેટલાક સમયથી કેન્સરથી પીડાતા હતા.
૨૨ નવેમ્બર ૧૯૨૫માં સુરત જિલ્લાના બારડોલીના સુન્ની વ્હોરા કુટુંબમાં જન્મેલા દીપક બારડોલીકરનું મૂળ નામ મુસાજી ઇસપજી હાફિસજી હતું. જિંદગીના શરૂઆતના લગભગ ૨૫ વર્ષ બારડોલીમાં પસાર કર્યા પછી તેઓ વ્યવસાય માટે પાકિસ્તાન અને બાદમાં ઈંગ્લેન્ડમાં સ્થાયી થયા હતા. તેમણે આઝાદી આંદોલનમાં ભાગ લીધો હતો. તેઓ કોન્ગ્રેસ સેવા દળ અને પછી મુસ્લિમ લીગ નેશનલ ગાર્ડ્સમાં જોડાયા હતા.
બારડોલીકરે કરાંચીમાંથી નીકળતા ગુજરાતી અખબારો વતન, મિલ્લત, ડોન ગુજારી જેવા અખબારોમાં મહત્ત્વના હોદ્દા પર કામ કરી ગુજરાતી ભાષાને પાકિસ્તાનમાં જીવતી રાખવાના પ્રયાસો કર્યા હતા. આ લેખક અનેક તડકા છાયડામાંથી પસાર થઈ ૨૫ વર્ષથી ઇંગ્લેન્ડમાં વસવાટ કરતા હતા.