કાર્ડીફમાં મહાત્મા ગાંધીની ૧૫૧મી જન્મજયંતીની ઉજવણી

Tuesday 06th October 2020 15:12 EDT
 
 

૨જી ઓક્ટોબરે કાર્ડીફમાં મહાત્મા ગાંધીની ૧૫૧મી જન્મજયંતીની ઉજવણી સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે કરવામાં આવી હતી. કાર્ડીફમાં મિલેનિયમ સેન્ટર નજીક આવેલી મહાત્મા ગાંધીજીની પ્રતિમાને વેલ્સમાં ભારતના ઓનરરી કોન્સુલ રાજ અગ્રવાલે પુષ્પાંજલિ અર્પી હતી. કાર્યક્રમમાં કોન્સુલ અગ્રવાલ ઉપરાંત શીખ કાઉન્સિલ ઓફ વેલ્સના પ્રેસિડેન્ટ ગુરમીત રંધાવા અને ઈસ્કોન વેલ્સના પ્રેસિડેન્ટ તારકસ્નાથન દાસા ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે આર્મ્ડ સર્વિસના સભ્યોમાં રોયલ નેવીના લેફ્ટનન્ટ કમાન્ડર સુઝાન લીંચ અને આર્મીના મેજર પીટર હેરિસન તથા આર્મી એન્ડ વોરન્ટ ઓફિસર સ્ટીવ પરહામ RAFહાજર રહ્યા હતા.

આ કાર્યક્રમનું આયોજન ઓનરરી કોન્સુલ રાજ અગ્રવાલ દ્વારા કરાયું હતું. તેમણે જણાવ્યું હતું કે કોવિડ મહામારીના સમયમાં ગાંધીજીના ઉપદેશોને યાદ કરવા તે મહત્વનું છે. તેમના ઘણાં શબ્દો હાલના સમયને સુસંગત છે. ખાસ કરીને ગાંધીજીએ કહ્યું હતું,‘આજે તમે શું કરો છો તેના પર ભવિષ્યનો આધાર છે.’ આપણે થોડાં અટકીને આપણાં જીવનમાં મહત્ત્વની બાબતોમાં પ્રાથમિકતા નક્કી કરવા માટે આ સમયનો ઉપયોગ કરવો જોઈએ.

કોન્સુલ રાજ અગ્રવાલે ઉમેર્યું હતું કે સમગ્ર વિશ્વ જેમને મહાન નેતા તરીકે ઓળખે છે તેવા પુરુષની જન્મજયંતીની આ ઉજવણી છે. મહાત્મા ગાંધી ભારતને આઝાદીનો વારસો આપતા ગયા એટલું જ નહીં અહિંસા, ધાર્મિક બહુલવાદ અને સહિષ્ણુતાનો સંદેશો આપ્યો હતો.

મોહનદાસ કે ગાંધી એટલે કે મહાત્મા ગાંધીનો જન્મ ગુજરાતના પોરબંદરમાં ૨ ઓક્ટોબર, ૧૮૬૯ના રોજ થયો હતો. તેમણે અહિંસક આંદોલન દ્વારા ભારતને આઝાદી અપાવી હતી. ગાંધીજીના જન્મદિનની ભારતમાં ગાંધી જયંતી તરીકે અને વિશ્વમાં આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે.

ગયા વર્ષે મહાત્મા ગાંધીની જન્મજયંતીની ઉજવણીનો આ કાર્યક્રમ કાર્ડીફ સિટી હોલ ખાતે યોજાયો હતો જેમાં ૪૦૦થી વધુ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

વધુ વિગત માટે સંપર્ક: સીન ઓ બ્રાયન 07771 892 952 or [email protected]


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter