લંડનઃ કેન્સિંગ્ટન પેલેસના એક્ઝિબિશનમાં તમને ભારતીય રાજકુમારીઓ અને તેમણે પહેરેલું એક પેન્ડન્ટ જોવા મળશે. આ પેન્ડેન્ટ ફક્ત શણગાર સુધી સીમિત નથી પરંતુ ભારતીય રાજકુમારીઓએ કેવી રીતે નાઝી નરસંહારનો ભોગ બનતાં યહૂદી પરિવારોને બચાવ્યા હતા તેની વાત રજૂ કરે છે.
આ પેન્ડેન્ટ બીજા વિશ્વયુદ્ધના પ્રારંભના થોડા મહિના પહેલાં પરિવાર સાથે જર્મનીથી નાસી છૂટેલી યહૂદી કન્યા ઉર્સુલા હોર્નસ્ટેનનું હતું. તેને આ પેન્ડેન્ટ પંજાબની છેલ્લી રાજકુમારીઓ પૈકીની એક કેથરિન દુલીપ સિંહ દ્વારા અપાયું હતું. કેથરિને આ પરિવારને જર્મનીથી બ્રિટન પહોંચવામાં મદદ કરી હતી.
26 માર્ચથી શરૂ થઇ રહેલા પ્રદર્શનમાં પંજાબની છેલ્લી રાજકુમારીઓ કેથરિન, સોફિયા અને બામ્બા સધરલેન્ડને પ્રદર્શિત કરવામાં આવશે. તેઓ શીખ રાજવી પરિવારની સભ્યો હતી પરંતુ બ્રિટનમાં વસવાટ કરતી હતી અને બ્રિટિશ સમાજ તથા રાજનીતિમાં અસામાન્ય હસ્તી ધરાવતી હતી. તેઓ ક્વીન વિક્ટોરિયાની ઘણી નજીક હતી.
તેઓ શીખ સામ્રાજ્યના છેલ્લા મહારાજા દુલીપ સિંહની સંતાનો હતી. 1848માં દુલીપ સિંહને 10 વર્ષની વયે રાજગાદી પરથી હટાવાયા ત્યારબાદ તેઓ બ્રિટન અને યુરોપમાં દેશવટો ભોગવતા હતા. આ બહેનો અને તેમના પૂર્વજો સાથે સંકળાયેલી વસ્તુઓ આ એક્ઝિબિશનમાં રજૂ કરવામાં આવશે.


