લંડનઃ યુરોપિયન યુનિયન (ઈયુ)માંથી યુકેને બહાર લઈ જવા માટે રેફરન્ડમ યોજનારા પૂર્વ વડા પ્રધાન ડેવિડ કેમરન હવે તેનો પસ્તાવો કરી રહ્યા છે. રેફરન્ડમથી સર્જાયેલા અનિશ્ચિત વાતાવરણ બદલ દિલથી માફી માગનારા કેમરને તેમના નવા પુસ્તક ‘For The Record’માં નો-ડીલ તથા વર્તમાન વડા પ્રધાન બોરિસ જ્હોન્સન અને માઈકલ ગોવ સહિતના રાજકારણીઓની આકરી ટીકા કરી છે. કેમરને બ્રેક્ઝિટ મુદ્દે નવા ઈયુ રેફરન્ડમની પણ તરફેણ કરી છે. બોરિસ જ્હોન્સનનાં ટુંકા શાસનમાં પાર્લામેન્ટ સસ્પેન્ડ કરવાના તેમજ ૨૧ બળવાખોર ટોરી સાંસદોની હકાલપટ્ટીના નિર્ણયોને કેમરને ભૂલભરેલા ગણાવ્યા હતા. બ્રિટને નો-ડીલ બ્રેક્ઝિટ માટે તૈયાર રહેવું જોઈએ તેમ સરકાર કહે છે છતાં, સમજૂતી વિના ઈયુ છોડવાનો કેમરન વિરોધ કરે છે. તેમણે જ્હોન્સનની બ્રેક્ઝિટ નીતિ ખોટી હોવાનું પણ કહ્યું છે.
ડેવિડ કેમરને નવા પુસ્તકમાં જણાવ્યું છે કે રેફરન્ડમથી સર્જાયેલી અનિશ્ચિતતા બદલ તેઓ ખરેખર દિલગીર છે. રેફરન્ડમ વિશે તેમને ઘણો ખેદ છે અને તેઓ કેવી રીતે નિષ્ફળ રહ્યા તે પણ જણાવાયું છે. કેમરન કહે છે,‘જનમત દરમિયાન અને તેના પછી જે લાગણીઓ સર્જાઈ તેની મને જરા પણ ધારણા ન હતી. આ પછીના વર્ષોમાં દેશને અનિશ્ચિતતા અને વિભાજન સહન કરવામાં આવ્યું તેનું મને દુઃખ છે.’ આમ છતાં, રેફરન્ડમના નિર્ણયને તેઓ વળગી રહેતા જણાવે છે કે બ્રિટિશ રાજકારણમાં પોતાના અવાજની તક આપવાની બાબત હોવાથી યુરોપિયન યુનિયન સાથે બ્રિટનના સંબંધોની નવેસરથી વાટાઘાટ કરવી યોગ્ય હતી.
સંસ્મરણોના પ્રકાશન અગાઉ ધ ટાઈમ્સ અખબારને આપેલા ઈન્ટર્વ્યૂમાં કેમરને પોતાનું ત્રણ વર્ષનું મૌન તોડી ઈયુ રેફરન્ડમ દરમિયાન બોરિસ જ્હોન્સન અને માઈકલ ગોવના વર્તનની ભારે ટીકા કરી હતી. ઈયુ મેમ્બરશિપથી દર સપ્તાહે ૩૫૦ મિલિયન પાઉન્ડનું નુકસાન જાય છે તેમજ તુર્કી ઈયુ સંગઠનમાં સામેલ થવા સહિતના જુઠાણાં તેઓએ ફેલાવ્યા હતા. તેમણે પોતાના એક સમયના મિત્ર ગોવને ખોટા બોલા જણાવી કહ્યું હતું કે રેફરન્ડમે તેમની ગાઢ મિત્રતાનો અંત આણ્યો હતો. કેમરને સંસ્મરણોમાં લંડનના મેયર તરીકે જ્હોન્સનની કામગીરીની પ્રશંસા કરવા સાથે કડવાશની વાતો પણ કરી છે. તેમનો દાવો છે કે જ્હોન્સને પોતાની કારકીર્દિ આગળ વધારવા માટે જ વોટ લીવ કેમ્પેઈનને સમર્થન આપ્યું હતું.