કેર વર્કર વિઝા નાબૂદી સોશિયલ કેર સેક્ટર પર લેબર સરકારનો કુઠારાઘાત

કેર સેક્ટરની જીવાદોરી ટૂંકાવી દેતો સરકારનો નિર્ણયઃ કેર કંપનીઓનો આરોપ

Tuesday 13th May 2025 11:01 EDT
 
 

લંડનઃ બ્રિટિશ કર્મચારીઓની નિયુક્તિમાં પડતી મુશ્કેલીઓનો ઉકેલ લાવ્યા વિના સરકારે વિદેશમાંથી થતી નિયુક્તિઓને ટૂંકાવી દીધી હોવાનો આરોપ કેર પ્રોવાઇડર્સ દ્વારા મૂકવામાં આવ્યો છે. વિદેશમાંથી નિયુક્તિઓ કરાઇ હોવા છતાં ઇંગ્લેન્ડના કેર સેક્ટરમાં ગયા વર્ષે 1,31,000 કર્મચારીની અછત વર્તાઇ હતી.

કેર કંપનીઓએ જણાવ્યું છે કે વિદેશી કર્મચારીઓની નિયુક્તિ વિના કેટલીક સેવાઓ આપી શકાશે નહીં. કેર ઇંગ્લેન્ડના માર્ટિન ગ્રીને જણાવ્યું હતું કે, આમ પણ કેર સેક્ટર ઘટી રહેલા સ્ત્રોત, વધતા ખર્ચ અને કર્મચારીઓની અછતનો સામનો કરી રહ્યું છે. આવી સ્થિતિમાં કોઇપણ ચેતવણી, ફંડિંગ અને વિકલ્પ આપ્યા વિના વિદેશી કેર વર્કર્સ પર પ્રતિબંધ ન કેવળ ટૂંકી દ્રષ્ટિનો પરંતુ ક્રુર નિર્ણય છે.

હોમ કેર એસોસિએશનના ડો. જેન ટાઉનસને જણાવ્યું હતું કે, શૂન્યાવકાશ સર્જાયો છે ત્યારે જ સરકાર બદલાવ લાવી રહી છે. દેશની કેર વર્કર્સની જરૂરીયાત પૂરી કરવાની સરકાર પાસે કોઇ યોજના નથી. હાલ ઇંગ્લેન્ડમાં સોશિયલ કેર સેકટરમાં 1.7 મિલિયન લોકો કામ કરી રહ્યાં છે.

જાહેરાત પહેલાં હોમ સેક્રેટરી કૂપરે જણાવ્યું છે કે નેટ માઇગ્રેશન ઘટાડવા માટેની યોજના અંતર્ગત હવે વિદેશમાંથી કેર વર્કર્સની નિયુક્તિ કરી શકાશે નહીં. સરકાર નવા નિયમો અંતર્ગત કેર વર્કર વિઝા બંધ કરશે. સરકાર આ વર્ષે ઓછા સ્કીલ્ડ ફોરેન વર્કર્સની સંખ્યા 50,000 સુધી ઘટાડવા માગે છે.

કૂપરે જણાવ્યું હતું કે, સિસ્ટમમાં વિદેશી નિયુક્તિઓ વધી રહી છે તેની સામે બ્રિટિશરો તાલીમ લઇ રહ્યાં નથી. દેશમાં લો સ્કીલ્ડ માઇગ્રેશનમાં મોટો ઉછાળો આવ્યો છે જ્યારે બ્રિટિશરો કામ કરી રહ્યાં નથી. તેથી સિસ્ટમ ભાંગી પડી છે. આપણે તેમાં બદલાવ લાવવાની જરૂર છે.

હોમ ઓફિસના આંકડા અનુસાર 2023માં 1,45,823 હેલ્થ એન્ડ કેર વર્કર વિઝા જારી કરાયાં હતાં. 2021માં આ સંખ્યા ફક્ત 31,800 હતી. અગાઉની ટોરી સરકારે લાદેલા નિયંત્રણોના કારણે આ સંખ્યા 2024માં ઘટીને 27,174 પર આવી ગઇ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter