લંડનઃ યુકેમાં ૧૯ જુલાઈને આઝાદી દિવસ તરીકે મોટા ભાગના નિયંત્રણોમાંથી મુક્તિ મળવાની છે ત્યારે કોવિડ-૧૯ના કેસીસમાં ઉછાળો આવ્યો છે. વડા પ્રધાન બોરિસ જ્હોન્સને સોમવારે સ્પષ્ટ કર્યું હતું કે લોકડાઉનમાંથી બહાર ની૪કળવાના ઈંગ્લેન્ડના રોડમેપના આખરી પગલાં અનુસાર ૧૯ જુલાઈથી મોટા ભાગના કોવિડ નિયંત્રણો ઉઠાવી લેવામાં આવશે. બીજી તરફ, સરકારના વૈજ્ઞાનિક સલાહકારોએ ચેતવણી આપી છે કે આ તબક્કે તમામ નિયંત્રણો ઉઠાવી લેવાથી કોવિડના ખતરનાક વેરિએન્ટ્સ વધવાની શક્યતા છે.
દરમિયાન, ૧૩ જુલાઈ સુધીમાં કોરોના વાઈરસના નવા ૩૬,૬૬૦ સંક્રમિત કેસ જોવા મળ્યા છે જેની સંખ્યા બે દિવસ અગાઉ ૩૨,૩૬૭ અને ગત મંગળવારે ૨૮,૭૭૩ની હતી. દેશમાં કુલ સંક્રમિત કેસીસની સંખ્યા ૫,૦૮૯,૮૯૩ને પાર થઈ ગઈ હતી. આ ઉપરાંત, બ્રિટનમાં ૧૧ જુલાઈના ૨૪ કલાક સુધીમાં કોરોના વાઈરસ સંબંધિત ૩૪ મૃત્યુ નોંધાયા હતા. આ સાથે બ્રિટનમાં કોવિડ-૧૯થી કુલ મોતની સંખ્યા ૧૨૮,૩૯૯એ પહોંચી હતી.
બ્રિટિશ હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદે જણાવ્યું હતું કે ૧૬ ઓગસ્ટથી ઈંગ્લેન્ડમાં જે લોકોએ વેક્સિનના બંને ડોઝ લઈ લીધા હશે તેમણે કોવિડ-૧૯થી સંક્રમિત કોઈ વ્યક્તિના સંપર્કમાં આવ્યા હશે તો પણ સેલ્ફ આઈસોલેટ થવાની જરુર રહેશે નહિ. જોકે તેમણે ચેતવણી આપી હતી કે કોવિડ-૧૯ મહામારીનો અંત આવી ગયો નથી. તેમણે કોમન્સમાં લોકોને સાવચેત રહેવા અને વર્તમાન કેટલાક નિયમોનું પાલન કરવા પણ જણાવ્યું હતું. આનો અર્થ એ છે કે હવે નિયંત્રણોનું પાલન સ્વૈચ્છિક રહેશે. જાવિદે જણાવ્યું છે કે કોવિડ કેસીસ વધતા રહેશે અને ઉનાળાના પાછલા હિસ્સામાં દરરોજ ૧૦૦,૦૦૦ કેસનો આંકડો પણ આવી શકે છે. દેશમાં વેક્સિનેશન જોરશોરથી ચાલી રહ્યું છે અને લગભગ ૮૭ ટકા વયસ્કોને કોવિડ વેક્સિનને પ્રથમ ડોઝ આપી દેવાયો છે જ્યારે ૬૫ ટકાથી વધુ વયસ્કોને વેક્સિનના બંને ડોઝ અપાયા છે.
બ્રિટનમાં કોવિડ કેસીસમાં ભારે ઉછાળો આવી રહ્યો છે ત્યારે દૈનિક સંક્રમણના સંદર્ભમાં બ્રિટનના યલો-એમ્બર ટ્રાવેલ લિસ્ટમાં રહેલા ૧૪૭ દેશમાંથી ૧૪૫ દેશ કરતાં બ્રિટનમાં સંક્રમણ વધુ છે. માત્ર સાયપ્રસ અને ફિજીમાં કોરોના કેસીસનું વધુ પ્રમાણ છે. જ્યારે રેડ લિસ્ટમાં મોંગોલિયા, સેશેલ્સ, ટ્યુનિશિયા અને નામિબિયામાં યુકે કરતા વધુ સંક્રમણ છે.
અવર વર્લ્ડ ઈન ડેટાના આંકડા મુજબ યુકેમાં ૧૧ જુલાઈએ સમાપ્ત થયેલા સપ્તાહમાં પ્રતિ મિલિયન લોકોએ દૈનિક સરેરાશ ૪૬૦ નવા કેસ નોંધાયા છે.