લંડનઃ કૈલાશ માનસરોવરની ધાર્મિક યાત્રાએ ગયેલું મૂળ કોલકાતાનું અને હાલ યુકેમાં સ્થાયી થયેલું એક દંપતી નેપાળમાં આવેલા વિનાશક ફ્લેશ ફ્લડ (અચાનક આવેલ પૂર) બાદ ગુમ થયું છે. આ ઘટનાને પગલે કોલકાતા સ્થિત તેમના પરિવારજનોમાં ભારે ચિંતા વ્યાપી છે. અનલ કાર (56) અને તેમના પત્ની સંજુકતા કાર (50) ગત 18 ઓગસ્ટે નવી દિલ્હીથી કાઠમંડુ પહોંચ્યા હતા. તેમને છેલ્લે નેપાળ-તિબેટ સરહદ નજીક આવેલા તિમુરે વિસ્તારમાં ટ્રેસ કરવામાં આવ્યા હતા. દંપતીની 24 વર્ષીય પુત્રી આરાત્રિકા કાર, જે વેલ્સની એક હોસ્પિટલમાં તબીબ તરીકે ફરજ બજાવે છે, તેણે જણાવ્યું કે તેના માતાપિતા સાથે છેલ્લે મંગળવારે વાત થઈ હતી. તે પછીના દિવસે જ હિમખડક સ્ખલનને કારણે નદીનો પ્રવાહ રોકાતાં ભયાનક પૂર આવ્યું હતું.


