લંડનઃ ભારત અને કોમનવેલ્થના અન્ય દેશોએ આપેલા ઐતિહાસિક યોગદાનને યાદ કરીને પૂર્વ જસ્ટિસ મિનિસ્ટર શૈલેષ વારા સહિત ૪૫ કન્ઝર્વેટિવ સાંસદોએ બ્રેક્ઝિટ પછી નવા વ્યાપારી સંબંધો માટે ‘મહત્ત્વનો સંદેશ’ પહોંચાડવા માટે આ દેશોના નાગરિકોને યુકેના વિઝા ફાસ્ટ-ટ્રેકથી આપવા હોમ સેક્રેટરી એમ્બર રડને જણાવ્યું છે. સાંસદોની ભલામણો પર પાર્લામેન્ટમાં ૨૬ ફેબ્રુઆરીએ ચર્ચા શક્ય છે.
હોમ સેક્રેટરીને પાઠવેલા પત્રમાં વધુમાં જણાવાયું છે કે કોમનવેલ્થના ૫૨ દેશના મુલાકાતીઓ માટે વિઝાના નિયમો હળવા બનાવવા જોઈએ. પત્રમાં આ દેશોના નાગરિકો માટે વિઝાની શરતો હળવી બનાવવાની નહિ પરંતુ, ભારત અને કોમનવેલ્થના નાગરિકોને વિઝા આપવા અંગેની સ્થિતિ વધુ સરળ અને સાનુકુળ બનાવવા જણાવાયું છે. સાંસદ શૈલેષ વારાએ જણાવ્યું હતું કે,‘બ્રિટન ઈયુ છોડી રહ્યું છે ત્યારે આપણે બાકીના વિશ્વ સાથે સંબંધો મજબૂત બનાવવા જોઈએ. કોમનવેલ્થનું સંયુક્ત જીડીપી ૧૦.૪ ટ્રિલિયન ડોલર છે.’
ઉલ્લેખનીય છે કે પ્રાઈમ મિનિસ્ટર થેરેસા મેએ નવેમ્બરની ભારત મુલાકાત વેળાએ બિઝનેસ પ્રવાસીઓ માટે રજિસ્ટર્ડ ટ્રાવેલર્સ સર્વિસ (RTS)ની સુવિધા હેઠળ વિઝા મેળવનાર પ્રથમ દેશ ભારત હશે. જો તમારી પાસે યુકે વિઝા હોય અથવા છેલ્લા ૨૪ મહિનામાં ઓછામાં ઓછાં ચાર વખત યુકેની મુલાકાત લીધી હોય તેઓ RTS મેમ્બરશિપ માટે અરજી કરી શકે છે.