લંડનઃ યુકે સરકારે કોરોના મહામારીમાં લોકડાઉન લાદવામાં પૂરતી ઝડપ નહિ દર્શાવી લોકોની જિંદગીઓ સાથે જુગાર ખેલ્યો હોવાના આક્ષેપો સાથે કોરોના વાઈરસનો શિકાર બનેલા લોકોના ૧,૦૦૦ જેટલા શોકગ્રસ્ત રિલેટીવ્ઝ પબ્લિક ઈન્ક્વાયરીની ફરજ પાડવા કાનૂની કાર્યવાહીની તૈયારી કરી રહ્યા છે. આ સગાંસંબંધીઓએ પીપીઈની અછત અને ખામીપૂર્ણ ટેસ્ટિંગ વ્યવસ્થામાં તપાસની માગણી પણ ઉઠાવી છે. ઉલ્લેખનીય છે કે પ્રોફેસર નીલ ફર્ગ્યુસને કહ્યું હતું કે લોકડાઉન એક સપ્તાહ વહેલું લાદવામાં આવ્યું હોત તો મૃત્યુઆંક અડધો થયો હોત.
કોરોના વાઈરસના કારણે જે લોકોએ જીવ ગુમાવ્યો છે તેમના ૧,૦૦૦ જેટલા સ્વજનો સરકાર વિરુદ્ધ કાનૂની કાર્યવાહીની તૈયારી કરી રહ્યા છે. જો મિનિસ્ટર્સે દેશમાં વહેલું લોકડાઉન કર્યું હોત તો આ લોકોના મોત થયા ન હોત તેવો આક્ષેપ ‘Covid-19 Bereaved Families for Justice’ જૂથ દ્વારા કરાયો છે. જૂથનું કહેવું છે કે યુકે સરકાર ઝડપથી પગલાં લેવામાં નિષ્ફળ ગઈ હતી તેમજ યુરોપના અન્ય દેશોની ચેતવણીઓને નહિ ગણકારી તેમણે લોકોની જિંદગીઓ સાથે જુગાર ખેલ્યો હતો. આ જૂથે ખામીપૂર્ણ ટેસ્ટિંગ વ્યવસ્થા, પૂરતાં પ્રમાણમાં પ્રોટેક્ટિવ ક્લોધિંગનો અભાવ તેમજ મહામારી સંબંધિત આયોજનના અન્ય પાસાઓ બાબતે તપાસની માગણી કરી છે.
સરકારે મૃતકોના સ્વજનો પ્રતિ સહાનુભૂતિ દાખવી નથી કે અત્યાર સુધી આ જૂથ સાથે બેઠકની માગણી પણ સ્વીકારી નથી. પરિવારોએ કાયદાકીય સલાહ પણ મેળવી છે અને પબ્લિક ઈન્ક્વાયરી માટે પિટિશન પણ કરશે. જો સરકાર જાહેર તપાસને નકારશે તો આ પરિવારોનું પ્રતિનિધિત્વ કરતા વકીલો હાઈ કોર્ટમાં જ્યુડિશિયલ રીવ્યૂ મારફત સરકારના નિર્ણયને પડકારવા પણ તૈયાર છે. પરિવારોનું કહેવું છે કે યુકેમાં કોરોના વાઈરસથી ૪૪,૦૦૦ જેટલા મોત થયા છે ત્યારે આપણે મહામારીમાંથી બોધપાઠ શીખવાની જરુર છે.
લોકડાઉનના નિયમભંગ માટે પદત્યાગ કરવાની ફરજ પડી ત્યાં સુધી સરકારના સાયન્ટિફિક એડવાઈઝરી ગ્રૂપ ઓન ઈમર્જન્સીઝ (SAGE)ના વરિષ્ઠ સભ્ય રહેલા પ્રોફેસર નીલ ફર્ગ્યુસને કહ્યું હતું કે લોકડાઉન માત્ર એક સપ્તાહ વહેલું લાદવામાં આવ્યું હોત તો લોકોના મૃત્યુની સંખ્યા ઓછામાં ઓછી અડધી થઈ હોત. ગત સપ્તાહે જ રોયલ કોલેજ ઓફ ફીજિશિયન્સ, સર્જન્સ, જીપીઝ અને નર્સિંગના પ્રમુખો, બ્રિટિશ મેડિકલ એસોસિયેશનના અધ્યક્ષ સહિત આરોગ્ય નિષ્ણાતોએ મહામારીના પ્રથમ તબક્કા વિશે રીવ્યૂની માગણી ઉઠાવી હતી.